(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
રાજપીપળા ખાતે મુસ્લિમ વેલફેર કમિટી દ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નમાં ૧૮ જોડા નીકાહના બંધનમાં જોડાઇને અને નવજીવન શરૂ કર્યું છે.
રાજપીપળામાં મુસ્લિમ વેલફેર કમિટી દ્વારા રાજપીપલા જીન કમ્પાઉન્ડ ખાતે ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો સહિત રાજકીય આગેવાનો પણ સમૂહ લગ્નના પ્રસંગમાં હાજર રહી નવયુગલોને દુઆઓથી નવાજ્યા હતા.
લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાને રોકવા માટે રાજપીપલા મુસ્લિમ સમાજની આ એક સરાહનીય પહેલ છે ખાસ કરીને સમૂહ લગ્નમાં દાતાઓએ નવ યુવાનોને ભેટ સોગાદો આપી દુઆઓ આપી હતી આગેવાનોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજપીપળામાં મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ સાદીનું આયોજન કરાયું છે જેનો મુખ્ય હેતુ એ છે કે પયગંબર સાહેબના આદેશ મુજબ લગ્નમાં થતાં ખોટા ખર્ચ દૂર કરવા તેમજ સમાજને આર્થિક રીતે ઉપર લાવવાનો છે.સમૂહ લગ્નના આયોજકોએ સૌ દાતાઓ તેમજ યુવાનોને સમૂહ લગ્નને સફળ બનાવવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી સમયમાં હજી વધારે સુંદર આયોજન થકી સમાજમાં પરિવર્તન લાવવા અને ખોટા ખર્ચ ઘટાડી લગ્નો કરવા લોકોને આહવાન કર્યું હતું.
કમિટી સભ્ય સલીમભાઈ બોસ તેમજ અલ્તાફ ભાઈ એ જણાવ્યું હતું કે સમાજના ગરીબ વર્ગની દીકરીઓને સમૂહ લગ્નમાં જોડી તેમજ સમાજમાં થતાં ખોટા ખર્ચ દૂર થાય તેવો સંદેશ પાઠવીએ છે તેમજ વેલ્ફેર કમિટી અને રાજપીપળા શહેરના દાતાઓ અને બહેનો સમુહ લગ્નમાં કામ કરનાર તમામ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં ઈમ્તિયાઝ અલી કાદરીએ સમૂહ લગ્નમાં જોડાયેલા સૌ કોઈ યુગલોને દુવાઓ પાઠવી હતી અને ખોટા ખર્ચો સમાજમાંથી દૂર કરીને સૌ કોઈ સમૂહ લગ્નમાં જોડાઈ અને સાદગીથી નિકાહ કરે તેવું આહવાન કર્યું હતું.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિતના આગેવાનો પણ સમૂહ લગ્નમાં નવયુગલોને આશીર્વાદ પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ મુસ્લિમ સમાજની આ કામગીરીને બિરદાવી હતી અને નવયુગલોને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is