– પતંગરસિયાઓ ધાબા પર જામ્યા,ગૌ માતાની પૂજા-અર્ચના અને ઉંધિયા-જલેબીની મોજ માણી
ભરૂચ,
મકર સંક્રાંતિના પાવન પર્વે ભરૂચ જીલ્લામાં ઉતરાયણની ભવ્ય ઉજવણી થઈ હતી.૧૪ મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતાં આ પવિત્ર દિવસની ઉજવણી માટે વહેલી સવારથી જ લોકો ધાબા પર પહોંચી ગયા હતા.નાના બાળકોથી માંડીને યુવાનોએ પતંગ ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું.આ પવિત્ર દિવસે ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રદ્ધાળુઓએ ગૌ માતાની વિશેષ પૂજા-અર્ચના કરી હતી.પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા કરાયેલી સુંદર વ્યવસ્થા અંતર્ગત ભક્તોએ ગાય માતાને ઘાસચારો અને ઘૂઘરી અર્પણ કર્યા હતા.
ઉત્તરાયણની ઉજવણીમાં ભરૂચ જીલ્લામાં ઉંધિયા પાર્ટીનો ટ્રેન્ડ વધી રહ્યો છે.બે દિવસ સુધી જીલ્લાવાસીઓએ ઉંધિયા અને જલેબીની મીઠી મહેફિલ માણી હતી.ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દિવ-દમણના પ્રભારી દુષ્યંત પટેલે પણ તેમના મિત્રો સાથે પતંગ ઉડાડી જીલ્લાવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આમ સમગ્ર જીલ્લામાં ઉતરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ઉત્તરાયણના તહેવાર દરમ્યાન પતંગના દોરાથી થયેલી દુર્ઘટનાએ એક પરિવારનો આનંદ માતમમાં ફેરવાયો હતો.સામલોદ નજીક નબીપુર વિસ્તાર માંથી પસાર થઈ રહેલા ૩૨ વર્ષીય સંજય મૂળજીભાઈ પાટણવાડિયાનું પતંગના દોરાથી ગળું કપાઈ જવાથી કરુણ મોત નિપજ્યું હતું.ગંભીર ઈજાગ્રસ્ત સંજયને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આ ઘટના અંગે નબીપુર પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.એક જ દિવસમાં બીજી દુર્ઘટના દહેજના અટાલી ગામ નજીક બની હતી.જ્યાં રણજીતભાઈને પતંગના દોરાથી ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.તેમને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમની ઈજાઓ પર ૬ ટાંકા લેવામાં આવ્યા હતા.
આ બંને ઘટનાઓએ ઉત્તરાયણના તહેવાર દરમ્યાન પતંગના દોરાથી થતી દુર્ઘટનાઓની ગંભીરતા ફરી એકવાર સામે લાવી છે.આવી દુર્ઘટનાઓ રોકવા માટે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ બનતી રહે છે જે ચિંતાનો વિષય છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is