પાકિસ્તાન અને દુબઈમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત 19 જાન્યુઆરીએ થઈ શકે છે. આ દરમિયાન ટીમની પસંદગી પહેલા વિકેટકીપર અને બેટર સંજુ સેમસન વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સંજુ સેમસન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ શકે છે. આ સિવાય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેની સામે કાર્યવાહી કરી શકે છે. સંજુનો કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) સાથે કથિત રીતે વિવાદ થયો હતો.
શું હતો સમગ્ર મામલો?
અહીં તમને જણાવી દઈએ કે સંજુ સેમસને વિજય હજારે ટ્રોફી 2024-25ની શરૂઆત પહેલા કેરળ ટીમના પ્રેક્ટિસ કેમ્પમાં ન જોડાવવાનું જણાવ્યું હતું. જેના લીધે વિજય હજારે ટ્રોફી માટે કેરળ ટીમમાં તેની પસંદગી થઈ ન હતી. KCAના સેક્રેટરી વિનોદ એસ કુમારે કહ્યું હતું કે, ‘એસોસિએશન ઇચ્છતું નથી કે સેમસનની ઉપલબ્ધતા અંગેની અનિશ્ચિતતાને કારણે કોઈ પણ યુવાન ખેલાડી પોતાનું સ્થાન ગુમાવે.’
BCCI સેમસનથી નાખુશ
એક અહેવાલ અનુસાર, BCCIના ટોચના અધિકારીઓ અને પસંદગીકારો સેમસનના વિજય હજારે ટ્રોફીમાંથી બહાર રહેવાના નિર્ણયથી ખુશ નથી. BCCIએ સ્પષ્ટપણે કહ્યું છે કે, ભારતીય ટીમમાં પસંદગીનો આધાર ઘરેલું ક્રિકેટ જ છે. આ સ્થિતિમાં ખેલાડીઓએ ચોક્કસપણે ઘરેલું ક્રિકેટ રમવું પડશે.
સેમસને પોતાનુ વલણ સુધારવું પડશે
BCCIના સૂત્રોનું કહેવું છે કે, ‘ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની પસંદગી કરતા પહેલા આ બાબતે ચર્ચા થઈ શકે છે. પસંદગીકારો અને બોર્ડ ઘરેલું ક્રિકેટના મહત્ત્વ અંગે ખૂબ જ સ્પષ્ટ છે. ગયા વર્ષે ઇશાન કિશન અને શ્રેયસ ઐયરે પરવાનગી લીધા વગર ડોમેસ્ટિક મેચ ન રમવાના કારણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવી દીધો હતો. સેમસનના કિસ્સામાં તેણે હજુ સુધી બોર્ડ અને પસંદગીકારોને કોઈ કારણ આપ્યું નથી કે તે ટુર્નામેન્ટ કેમ ચૂકી ગયો હતો. અત્યાર સુધીમાં એટલી ખબર પડી છે કે તે પોતાનું વધુ સમય દુબઈમાં વિતાવે છે. સંજુ સેમસનનો KCA સાથે કડવો ઇતિહાસ રહ્યો છે. પરંતુ ઘરેલું ક્રિકેટ રમવા માટે તેને આનો ઉકેલ લાવવો પડશે. એવું શક્ય નથી કે KCA અને તેની વચ્ચે કોઈ ગેરસમજ હોય અને તે ગેમના સમયને ચૂકી જાય. વિજય હજારે ટ્રોફી પહેલા તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો.’
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે સેમસન
સંજુ સેમસનને 22 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી T20 સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે. પસંદગીકારો જાણવા માંગે છે કે સંજુ સેમસને વિજય ટ્રોફીમાં કેમ ભાગ ન લીધો. રિપોર્ટ અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે કેએલ રાહુલ અને રિષભ પંતની પસંદગી કરવામાં આવી શકે છે. બેકઅપ વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ, ઇશાન કિશન અને સંજુ સેમસન રેસમાં છે. સંજુએ ભારતીય ટીમ માટે પોતાની છેલ્લી વનડે 21 ડિસેમ્બર 2023 ના રોજ રમી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is