ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લિંક કરવા માટે ગત 15 ઓક્ટોબરથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની નોંધણી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 33 લાખથી વધુ ખેડૂતો એટલે કે, 50 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ છે. નોંધણી કરાવનાર ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળે તેવું આયોજન કરાયું છે.
ગુજરાતને મળશે 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ
ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે. ગુજરાતે દેશમાં સૌપ્રથમ 50 ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી “સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ’ તરીકે રૂ. 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે. અગાઉ પણ ગુજરાતે 25 ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી રૂ. 82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ પ્રોત્સાહક ગ્રાન્ટનો ઉપયોગ ગુજરાતના વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં કરવામાં આવે છે.
નવસારી જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે
રાજ્ય સરકારના પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી વધુ વેગવાન બની છે. ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોની નોંધણીમાં 74 ટકા કામગીરી સાથે નવસારી જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. જ્યારે, 71 ટકા નોંધણી સાથે ડાંગ જિલ્લો બીજા ક્રમે અને 66 ટકા નોંધણી સાથે જૂનાગઢ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત સુરત અને ભરૂચ જિલ્લામાં પણ 63-63 ટકા ખેડૂત નોંધણી પૂર્ણ થઈ છે.
નોંધણીથી ખેડૂતોને મળશે વિવિધ યોજનાઓનો લાભ
અત્રે ઉલ્લેખનીય છે કે, ફાર્મર રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ એક 11 ડિજિટની યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડી.ના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી, પારદર્શકતાપૂર્વક અને સમયસર મળશે. ભારત સરકારની સૂચના અનુસાર ગુજરાતમાં ફાર્મર રજીસ્ટ્રી આગામી 25 માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is