– ગ્રામજનો દ્વારા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરીને દુષિત પાણી છોડાતું બંધ કરાવી પ્લાન્ટની પરવાનગી રદ્દ કરવા માંગ કરવામાં આવી
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીકના એક સિલિકા પ્લાન્ટ દ્વારા સિલિકા સેન્ડ વોસ કરેલું દુષિત પાણી ગામના તળાવમાં છોડવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. આ અંગે ગ્રામજનોએ ભરૂચ જીલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરીને અજયભાઈ નામના ઈસમ દ્વારા ચલાવાતા સિલિકા પ્લાન્ટનું દુષિત પાણી તળાવમાં છોડાતું બંધ કરાવીને સદર સિલિકા પ્લાન્ટની પરવાનગી રદ્દ કરવા માંગ કરી હતી.રજુઆતમાં જણાવાયું હતું કે તળાવમાં છોડાતું દુષિત પાણી તળાવમાં આવેલ ગ્રામ પંચાયતના પીવાના પાણીના બે બોરવેલમાં ભળવાની સંભાવના હોવાથી ગ્રામજનોને પીવાનું પાણી દુષિત બનતા લોકોના સ્વાસ્થય પર વિપરીત અસર પડીને રોગચાળો ફેલાય તેમ છે.ગોવાલીની ૭૦૦૦ જેટલી માનવ વસતી ગ્રામ પંચાયતના બે બોરવેલનું પાણી પીવાના ઉપયોગમાં લે છે,પરંતું બોરવેલનું પાણી પણ દુષિત બનતા તેની અસર લોકોના આરોગ્ય પર પડે તેમ છે.ગ્રામજનોએ આ સિલિકા પ્લાન્ટના સંચાલક સામે કાયદેસર કાર્યવાહી કરવા રજુઆતમાં માંગ કરીને સિલિકા પ્લાન્ટના સ્થળની એન.એ ની પરવાનગી રદ્દ કરવા ઉપરાંત પ્લાન્ટને આપેલ તમામ પરવાનગી તાત્કાલિક રદ્દ કરવા પણ માંગ કરી હતી.ગ્રામજનો દ્વારા આ અરજીની નકલ ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ ભરૂચ,જિલ્લા ખાણ ખનિજ વિભાગ,જિલ્લા વિકાસ અધિકારી તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચને પણ મોકલીને આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is