બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના વરલીમાં સ્થિત પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર એક્ટર માટે ધમકીભર્યા મેસેજ આવ્યા હતા. જેમાં સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. મેસેજ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ વિરૂદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
સલમાન ખાન અને તેમના પરિવાર તરફથી અત્યાર સુધી આ ધમકી મુદ્દે કોઈ પ્રતિક્રિયા મળી નથી. આ ધમકીની હાલ કોઈએ જવાબદારી પણ લીધી નથી. ભાઈજાનના ચાહકો આ સમાચારથી ચિંતિંત થઈ ગયા છે. અગાઉ પણ સલમાન ખાનને મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડે અનેક વખત સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. સલમાન ખાન જીવને જોખમ હોવાની ધમકીઓ વચ્ચે પણ પોતાનું કામ કરી રહ્યો છે. તેણે પોતાના રોજિંદા જીવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આ રમઝાન ઈદ પર ભાઈજાનની સિકંદર ફિલ્મ રિલીઝ થઈ હતી. એ.આર મુર્ગદાસ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સલમાનની સામે રશ્મિકા મંદાના લીડ હિરોઈનની ભૂમિકામાં હતી. નબળી સ્ટોરી લાઈનના કારણે આ ફિલ્મ ચાહકોને વધુ પસંદ આવી નથી. જેના લીધે તે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ રેકોર્ડ બનાવી શકી ન હતી. એકંદરે સલમાન ખાનની આ ઈદી તેના ચાહકોને પસંદ આવી ન હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is