વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઇવેથી પવિત્ર યાત્રાધામ નારેશ્વરને જોડતા સ્ટેટ હાઇવેની હાલત ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે ખરાબ થઇ ગઇ છે. રોડ પર ઠેરઠેર મોટા ખાડાના કારણે વાહનચાલકો હેરાન થતા હોય છે.
ઉલ્લેખનીય છે કે પાલેજથી નારેશ્વર વચ્ચે આશરે ૧૦ કિ.મી. રોડ પર વારંવાર કામગીરી કરવા છતાં રોડની હાલત થોડા સમયમાં જ ખરાબ થઇ જતી હોય છે. રોજે રોજ રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરો બેફામ દોડતા હોવાથી રોડ અનેક સ્થળોએ બેસી જતો હોય છે અને તેના કારણે કાર, રિક્ષા તેમજ ટુ વ્હીલરોને ભોગવવાનું આવતું હોય છે. એક વર્ષે પહેલાં જ રૃા.૩૪ કરોડનો ખર્ચ કર્યો છતાં પણ રોડની હલકી કામગીરી કે ઓવરલોડ વાહનોના કારણે રોડની હાલત ખરાબ થઇ ગઇ છે.
સારિંગ ગામના લોકોએ જણાવ્યું હતું કે ગામમાંથી નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. પાલેજથી સારિંગ આવતાં જ અનેક મોટા ખાડાઓના કારણે નાના-મોટા અકસ્માતો વારંવાર સર્જાતા હોય છે. આ ઉપરાંત પાછીયાપુરાથી ઓઝ ગામ સુધી પણ રોડની હાલત યોગ્ય નથી. ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં પણ લોકોનો પ્રશ્ન યથાવત રહે છે. ઉલ્લેખનીય છે કે આ રોડ પર અગાઉ ઓવરલોડ વાહનોને ગ્રામજનોએ રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is