ભારત અને યુકેએ સત્તાવાર ધોરણે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા હતાં. જે હેઠળ બ્રિટને 90 ટકા નિકાસ પર ડ્યૂટી ઘટાડવા સહમતિ દર્શાવી છે. જેથી ભારતમાં મળતી બ્રિટિશ કાર સસ્તી થશે. હાલ બ્રિટનમાં ઉત્પાદિત કાર પર 100 ટકાથી વધુ ડ્યુટી લાગે છે. જે હવે આ કરાર હેઠળ 90 ટકા ઘટાડી 10 ટકા કરાઈ છે. જેનાથી હાઈ કેટેગરીના વ્હિકલ વધુ સુલભ થશે.
લક્ઝ્યુરિયસ કાર સસ્તી થશે
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ભારતમાં મળતી જેગુઆર લેન્ડ રોવર, બેન્ટલે, બીએમડબ્લ્યૂ ગ્રૂપની મીની, રોલ્સ રોય્સ, અને એસ્ટન માર્ટિનની લક્ઝ્યુરિયસ કાર સસ્તી થશે. બ્રિટન કાર પર હવે 10 ટકા જ ડ્યુટી ચૂકવવાની હોવાથી કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે. ઈંગ્લેન્ડમાં ઉત્પાદિત નોર્ટન મોટરસાયકલના નિર્માતા ટીવીએસને પણ લાભ થશે. કાર ઉત્પાદકો ઉપરાંત સ્કોચ વ્હિસ્કી પર પણ ડ્યુટી 150 ટકાથી ઘટાડી દસ વર્ષમાં 40 ટકા કરવામાં આવશે.
દ્વિપક્ષીય વેપાર 26 અબજ પાઉન્ડ વધશે
ભારત અને યુકે વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ 2040 સુધી બંને દેશો વચ્ચે કુલ વાર્ષિક રૂ. 25.5 અબજ પાઉન્ડનો વેપાર વધવાનો અંદાજ છે. 2024માં બંને દેશો વચ્ચે 42.6 અબજ પાઉન્ડનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. FTA ભારતીય નિકાસને પ્રોત્સાહન આપે છે. કારણકે, ભારતથી યુકે થતી 99 ટકા નિકાસ પર ટેરિફ દૂર થશે. આયાત ડ્યૂટી દૂર થતાં ટેક્સટાઈલ, મરીન ફૂડ, લેધર પ્રોડક્ટ, ઓટો કમ્પોનન્ટ સેક્ટરને સીધો લાભ મળશે. ભારતના ટેક્સટાઈલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આ કરારથી બ્રિટિશ માર્કેટમાં ગ્રોથ હાંસલ કરવા વિશાળ તકો મળશે.
ઈમિગ્રેશન પોલિસી પણ સરળ થશે
આ કરારથી પ્રોફેશનલ ડાયવર્સિફિકેશનમાં પણ સુધારો થશે. વર્તમાન ઈમિગ્રેશન પોલિસીને સમાયોજિત કર્યા વિના પ્રોફેશનલ્સ માટે વિઝા પ્રક્રિયાઓ સરળ બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન કીર સ્ટારમર બંનેએ આ કરારને આવકાર્યો હતો. તેમણે આ કરારને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો સ્થાપિત થવા તરફનુ પ્રગતિશીલ પગલું ગણાવ્યું હતું. યુરોપિયન યુનિયનથી અલગ થયા બાદ યુકે અને ભારત માટે આ સૌથી મહત્ત્વપૂર્ણ કરાર છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is