ભરૂચ,
ભરૂચ શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક રતન તળાવમાં શિડ્યુલ ૧ માં આવતા કાચબાનું મોત થતા દુર્ગંધ મારતા સ્થાનિકો પરેશાન થવા સાથે સામાજિક કાર્યકર દ્વારા જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.તો વન વિભાગ દ્વારા મૃતક કાચબાનો કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક રતન તળાવમાં શિડ્યુલ ૧ માં આવતા કાચબાઓ વસવાટ કરે છે.જોકે તંત્રની લાપરવાહી અને બેદરકારીના કારણે તળાવની સાફ સફાઈ અને યોગ્ય જાળવણી ન થતા ગંદકી જોવા મળી રહી છે.ગંદકીના કારણે શિડ્યુલ ૧ માં આવતા કાચબા વારંવાર મોતને ભેટી રહ્યા છે.સામાજીક કાર્યકર સુરેશ વસાવા દ્વારા રતન તળાવનું સાફ સફાઈ અને શુધ્ધિકરણ માટે વર્ષોથી લડત ચલાવી રહ્યા છે તેમ છતાં તળાવની સફાઈ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે જેના કારણે વારંવાર કાચબાઓ મોતને ભેટી રહ્યા છે.જેથી જવાબદાર પાલિકાના ચીફ ઓફિસર અને વન વિભાગ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
તો બીજી તરફ રતન તળાવના સ્થાનિક જીવન ડોડિયાએ જણાવ્યું હતું કે રતન તળાવમાં બારેમાસ પાણી ભરેલું હોય છે આજે તળાવ છીછરું થતું જાય છે અને તળાવમાં ગંદકી અને ઝાડી ઝાંખડા ઊગી નીકળતા કાચબાઓ વહન ન કરી શકવાના કારણે મોતને ભેટી રહ્યા છે.ત્યારે વિશેષ જવાબદારી પાલિકા અને વન વિભાગની છે અને તળાવની અને કાચબા જાળવણી થાય તે માટે જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ભરૂચ વન વિભાગને જાણ કરવામાં આવતા રાઉન્ડ ફોરેસ્ટ ઈન્ચાર્જ ભરૂચ એચ પી યાદવ સહિતની ટીમ ઘટના સ્થળે આવી મૃતક કાચબાને તળાવ માંથી બહાર કાઢી તેનું પશુ દવાખાને પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રતન તળાવના બ્યુટીફિકેશન માટે ૯ કરોડ ઉપરાંતની ગ્રાન્ટ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.ત્યારે તેનું કામ જલ્દી શરૂ કરવામાં આવે તે જરૂરી છે.નહીંતર આગામી દિવસોમાં વધુ કાચબાઓ મોતને ભેટી શકે છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is