ગુજરાતના અમદાવાદમાં 12મી જૂને ભીષણ વિમાન દુર્ઘટનાના કારણે સમગ્ર દેશ આઘાતમાં છે. વિમાનમાં સવાર મોટા ભાગના મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું જેમાં 242 લોકો સવાર હતા. જેમાં બે પાયલટ અને 10 કેબિન ક્રૂ સદસ્યો સામેલ છે. વિમાન મેઘાણીનગર નજીક એક હોસ્ટેલમાં ક્રેશ થયું તે બિલ્ડિંગમાં પણ મોટા પાયે જાનહાનિના અહેવાલ છે. પ્લેન ટેકઓફ થયાની બે જ મિનિટમાં ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. ફ્લાઇટ AI171માં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. આ દુર્ઘટનામાં બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીના નજીકની વ્યક્તિનું નિધન થયું છે, જેઓ ફ્લાઇટમાં કો-પાયલટ હતા.
બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીએ સોશિયલ મીડિયામાં કહ્યું, કે ‘અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. મારા કાકા ક્લિફર્ડ કુંદરે તેમનો પુત્ર ક્લાઇવ કુંદર ગુમાવ્યો, જે ફ્લાઇટમાં ફર્સ્ટ ઓફિસર હતો. આ મુશ્કેલ ક્ષણમાં ઈશ્વર તમને અને તમારા પરિવારને શક્તિ આપે.’ નોંધનીય છે કે વિમાનના ફર્સ્ટ ઓફિસરને કોપાયલટ કહેવામાં આવે છે. નોંધનીય છે કે વિક્રાંત મેસીએ સ્પષ્ટ કર્યું છે ક્લિફર્ડ તેના સગા કાકા નહીં પરંતુ ફેમિલી ફ્રેન્ડ છે તેથી તે તેમને કાકા કહીને બોલાવે છે.
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન
અમદાવાદના પ્લેન ક્રેશમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. 68 વર્ષના રૂપાણી લંડન જતી ફ્લાઇટમાં સવાર હતા. તેઓ પુત્રી અને પત્નીને મળવા માટે જઈ રહ્યા હતા. દેશભરના વિવિધ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is