best news portal development company in india

આમોદ ને.હા બિસ્માર બનતા કોંગ્રેસનું ચક્કાજામ : કમળ મુકી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો

SHARE:

– કીચડથી ભરેલા ખાડામાં બેસી કોંગ્રેસનો વિરોધ

આમોદ,

આમોદ પાસેથી પસાર થતા રાષ્ટ્રિય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર મસમોટા ખાડા પડી ગયા હોવાથી અનેક વાહનચાલકો તેમજ મુસાફરોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.જે બાબતે કોંગ્રેસ દ્વારા હાઈવે ઓથોરિટીને અનેક વખત રજૂઆત કરવાં છતાં કામગીરી નહી થતાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ચક્કાજામનો કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો.જેનાં કારણે ટ્રાફિક સર્જાયો હતો.આમોદના પોલીસ ઈન્સ્પેકટર રાજુ કરમટિયાની નીગરાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આજરોજ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી,આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા સહિતનાં આગેવાનો સાથે નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર ખાડામાં બેસી ચક્કાજામ કરવામાં આવ્યો હતો.અને હાય હાય ના નારા લગાવ્યા હતાં. ભાજપ તારી ગેરંટી નહી ચાલે ના સૂત્રોચ્ચાર કર્યાં હતાં.તેમજ રોડ ઉપર પડેલા કીચડથી ભરેલા મસમોટા ખાડામાં બેસી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસી આગેવાનોએ ભાજપનું સિમ્બોલ કમળ મુકી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો અને મસમોટાં ખાડામાં ઊંધા કમળ ખોસી દીધા હતા.નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર ચક્કાજામ થતાં પોલીસે આમોદ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી,જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા, નગરપાલિક સદસ્ય ઉમેશ પંડ્યા,દુલભા મલેક,મણીલાલ પ્રજાપતી,ગુલામ ખત્રી, રજનીકાન્ત પરમાર સહિતનાં ૧૨ આગેવાનોને ડીટેન કર્યાં હતાં.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ગાઇડલાઈન છે કે પાંચ થી છ વર્ષ રોડ ચાલતો હોય છે ત્યારે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ૨૫ વર્ષની ગેરંટી વાળું નિવેદન કયા હેતુસર આપવામાં આવ્યું છે અને કોના કહેવાથી આપવામાં આવ્યુ છે.તે મહત્વનો પ્રશ્ન છે.આવનાર સમયમાં વરસાદ રહે ત્યારે વહેલી તકે રોડનું સમારકામ થાય તેવી અમારી માંગણી છે.

આમોદ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યુ હતુ કે ખુદ ધારાસભ્યએ આ રોડની ૨૫ વર્ષની ગેરંટી આપી હતી.તેમની પાંચ વર્ષની ગેરંટી નથી તો એ ૨૫ વર્ષની રોડની ગેરંટી કેવી રીતે આપી શકે? જો વહેલી તકે સમારકામ નહી કરવામાં આવે તો અમે પાવડા અને તગારા લઈને જાતે સમારકામ કરીશું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!