– બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદો થતાં બન્ને પક્ષે કુલ ચાર મહિલાઓ સહિત કુલ મળીને આઠ સામે ગુનો નોંધાયો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના તવડી ગામે મકાન અને વાડાની જગ્યા બાબતે બે પરિવારો વચ્ચેનો ઝઘડો પોલીસ સુધી પહોંચતા બન્ને પક્ષે કુલ ચાર મહિલાઓ સહિત આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો.
આ અંગે શિલ્પાબેન વસાવા રહે.ગામ તવડીનાએ ઉમલ્લા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગામના રાજેશ બચુભાઈ વસાવાની દિવાલ નજીકની તેમના વાડાની હદ પર જે વાડ કરેલ તે વાડ રાજેશભાઈ અને તેમના પરિવારે તોડી નાંખેલ હોય જ્યાંથી વાડ હતી ત્યાંથી જગ્યા લઈ લો,એમ કહેતા રાજેશ બચુ વસાવા, પ્રેમ રાજેશ વસાવા, ઘનશ્યામ મારુતિ વસાવા તેમજ શકુનાબેન ઘનશ્યામ વસાવા તેમની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા અને માર મારવા લાગ્યા હતા.જેથી શિલ્પાની બેન કાજલબેન વસાવા અને તેમની મમ્મી રસીલાબેન તેમજ ભાઈ અક્ષયે વચ્ચે પડીને છોડાવીને વધુ મારથી બચાવી હતી.આ લોકોએ માર મારીને મારી નાંખવાની ધમકી આપી હોય શિલ્પાબેન વસાવાએ રાજેશ બચુ વસાવા,પ્રેમા રાજેશ વસાવા, ઘનશ્યામ મારુતિ વસાવા તેમજ શકુનાબેન ઘનશ્યામ વસાવા તમામ રહે.ગામ તવડી તા.ઝઘડિયાના વિરૂધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.જ્યારે સામા પક્ષે મનિશાબેન રાજેશ વસાવાએ લખાવેલ ફરિયાદ મુજબ તા.૧૮ મીના રોજ સાંજના પાંચેક વાગ્યાના સમયે ગામના અક્ષય બેચર વસાવાએ વાડાની હદ બાબતે ઝઘડો કરીને મનિશાની કાકી શકુંતલાબેન ઘનશ્યામ વસાવાને ગાળો બોલીને માર માર્યો હતો.ત્યાર બાદ રાતના સાડા દશેક વાગ્યાના સમયે અક્ષય બેચર વસાવા,શિલ્પાબેન બેચર વસાવા, કાજલબેન મંગુ વસાવા તેમજ રસીલાબેન બેચર વસાવા મનિશાબેનના ઘરે આવ્યા હતા અને ગાળો બોલવા લાગેલ.આ ઝઘડા દરમ્યાન મનિશાના પતિ રાજેશ વસાવાને માર માર્યો હતો.આ લોકો ગાળો બોલીને મારી નાંખવાની ધમકી આપી હતી.આ બાબતે ઉમલ્લા પોલીસે મનિશાબેન રાજેશ વસાવાની ફરિયાદ મુજબ અક્ષય બેચર વસાવા, શિલ્પાબેન બેચરભાઇ વસાવા, કાજલબેન મંગુ વસાવા તેમજ રસીલાબેન બેચર વસાવા તમામ રહે.ગામ તવડી તા.ઝઘડિયાના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is