ભરૂચ,
સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર દાહોદ મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ આ પ્રકારનું જ કૌભાંડ બહાર આવ્યું હતું જેનાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો.આ અંગે મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના પિયુષ ઉકાળીની જલારામ એન્ટરપ્રાઈઝ અને જોધા સભાડની મુરલીધર એન્ટરપ્રાઈઝ દ્વારા મનરેગાના કામો હેઠળ વધારે મટીરીયલ બતાવી ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા. ખોટા બિલના આધારે રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસુલવામાં આવ્યા હોવાના ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા.
જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 11 ગામોમાં મનરેગા યોજના હેઠળ રોડ રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં જરૂરિયાત મુજબનું મટીરીયલ વાપરવામાં આવ્યું ન હતું. તેમ છતા વધારે મટીરીયલ બતાવવામાં આવ્યા હતા અને મનરેગા યોજના હેઠળ લોકોને મળતી રોજગારી પણ છીનવી લઈ જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા રૂપિયા રૂ. 6.58 લાખ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.13.5 લાખ સરકાર પાસે લેવામાં આવ્યા હતા.જે ગામોમાં કૌભાંડ આચારવામાં આવ્યું હતું તે ગામોના નામ પર નજર કરીએ તો જંબુસર તાલુકાના કીમોજ,વહેલમ અને બોજાદરા તો આમોદ તાલુકાના ધમણાદ, પુરુષા, રાણીપુરા અને દાદાપર તેમજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે.બન્ને એજન્સી દ્વારા નિયત માનવશ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને જાતે જ યાંત્રિક મશીનરીથી રોડ રસ્તાના કામો કર્યા હતા.જેમાં શ્રમયોગીઓને રોજગારી મળી ન હતી.આ સાથે જ ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયું હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી હતી.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે બન્ને એન્ટરપ્રાઈઝના માલિકો સામે ગુનો નોંધી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ મામલામાં પોલીસે તપાસ માટે સીટની પણ રચના કરી હતી.જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોપવામાં આવી હતી અને 11 પોલીસ કર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.પોલીસે તપાસમાં સૌપ્રથમ જે ગામોમાં કૌભાંડ આચરાયું છે ત્યાં પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી.ત્યાર બાદ સંબંધીત અધિકારીઓની પણ પૂછપરછ કરી હતી. આ સાથે ગ્રામ વિકાસ એજન્સીની કચેરી માંથી ડોક્યુમેન્ટ પણ કબ્જે કર્યા હતા.આ ડોક્યુમેન્ટની પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી હતી ત્યાં જ કોંગ્રેસના દિગગજ નેતા હીરા જોટવાની પણ કૌભાંડમાં સંડોવણી હોવાની આશંકાને લઈ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ગીર સોમનાથથી અટકાયત કરવામાં આવી છે.આ સાથે જ ભરૂચની હાંસોટ તાલુકા પંચાયતના ક્લાર્ક રાજેશ ટેલરની પણ અટકાયત કરી પોલીસ દ્વારા બંનેની પૂછપરછ હાથ ધરાઈ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is