ભરૂચ,
સાયખા કેમિકલ ઝોનમાં આવેલ હોર્બેક્સ મેડિસીન્સ કંપનીના પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં ચાર મૂંગા પશુઓના શંકાસ્પદ મોતને પગલે GIDC વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.બનાવને પગલે GPCB ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પાણીના સેમ્પલ લઈ તપાસ હાથધરી હતી.ત્યારે વાગરા મામલતદાર પણ સ્થળ ઉપર પહોંચી પશુઓને બહાર કઢાવી પીએમ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ જીલ્લાના વાગરાના સાયખા કેમિકલ ઝોનના ખુલ્લા પ્લોટમાં ગત મંગળવારના રોજ ચાર જેટલી ભેંસો કોઈક કારણોસર મોતને ભેટી હતી.જેને પગલે પશુપાલકના માથે આર્થિક સંકટના વાદળો ઘેરાયા હતા.પશુપાલક ઈશ્વરભાઈ આહીરના ચાર ઢોરો મૃત્યુ પામતા તેઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા.જેઓએ જણાવ્યુ હતુ કે આ પશુઓના મોત કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા ઝેરી કેમિકલયુક્ત પ્રવાહી પીવાથી થયુ છે. તેઓએ વાગરા મામલતદાર તેમજ જીપીસીબી સહિતના તંત્રને જાણ કરી પ્રદુષણ ઓકતી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેઓને મૃત પશુઓ માટે જે તે જવાબદાર ઉદ્યોગ સામે કડક કાર્યવાહીની સાથે વળતરની માંગ ઉચ્ચારી હતી. ત્યારે જીપીસીબીના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મૃત ઢોરોની આસપાસના ખાડાઓમાં ભરાયેલા પાણીના નમૂના એકત્ર કરી પૃથક્કરણ અર્થે જીપીસીબી કચેરીએ લઈ જવામાં આવ્યા હતા.તેમજ મામલતદારની ટીમ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ હાઈદ્રા ક્રેનની મદદથી બે ભેંસોને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.રિપોર્ટ આવ્યા બાદ પશુઓના મોતનું સાચું કારણ બહાર આવશે.પરંતુ હાલ તો પશુમાલિકને આર્થિક ફટકો પડતા તંત્ર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લામાં આવેલી કંપનીનો દ્વારા ચોમાસાની આડમાં વરસાદી કાંસમાં કંપનીનું દૂષિત પાણી પણ છોડી દેવામાં આવતા પશુઓ, જીવચળ સહિત પર્યાવરણને નુકશાન પહોંચાડી રહ્યા છે.ત્યારે આવા બેફામ બનેલા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is