– તળાવ બ્યુટીફિકેશનની કામગીરીમાં બેફામ ભ્રષ્ટાચાર છતાં તંત્ર બેફિકર
ભરૂચ,
આમોદ મોટા તળાવ ખાતે ૬.૫૯ કરોડના ખર્ચે તળાવના બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે.જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થવા પામ્યા છે.આમોદ નગરમાં તળાવના બ્યુટીફિકેશનનુ જ્યારથી ભૂમિ પૂજન થયુ છે ત્યારથી જ વિવાદોનાં વમળમાં ઘેરાયું છે.જેથી મોટા તળાવની નવીનીકરણની કામગીરીમાં તળાવ સુંદર બનવાને બદલે કદરૂપું બન્યું હોય તેવું નગરજનોને લાગી રહ્યું છે.
આમોદ નગરના વિકાસના કલગી રૂપ ગણાતું મોટું તળાવ ભ્રષ્ટાચાર,બેદરકારીનો ઉત્તમ નમૂનો બની ગયું છે.ગુજરાત સરકારની નગરના વિકાસની આ યોજના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર,અધિકારી અને પદાધિકારીઓની સાંઠગાંઠ માટે અમલમાં મૂકાઈ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.કારણકે તળાવના કોન્ટ્રાકટર પાસેથી આમોદ પાલિકાના પદાધિકારીઓએ પેટ ભરીને ટકાવારી લીધી હોય પદાધિકારીઓએ તળાવના ભ્રષ્ટાચાર બાબતે મૌન સેવી લીધું છે.
મીડિયામાં વારંવાર આમોદના મોટા તળાવના ભ્રષ્ટાચારના સમાચારો પ્રકાશિત થતાં તેમજ જાગૃત નાગરિકોએ કરેલી અરજીઓના નગરપાલિકા દ્વારા મનઘડત જવાબો આપી ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે.પરંતુ આજ દિન સુધી કોન્ટ્રાકટર સામે કોઈ દંડાત્મક કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને જાણે ખુલ્લું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે.જેના પરિણામે તળાવ ફરતે વોકવે,ગ્રીલ,દિવાલ, માર્બલ અને પેવર બ્લોકમાં બેફામ ભ્રષ્ટાચાર વધ્યો હોવાનું જણાઈ રહ્યું છે.જેથી સમગ્ર તળાવનું તકલાદી બાંધકામ કરવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે.
ચોમાસામાં પ્રથમ વરસાદમાં જ મોટા તળાવની દીવાલ ધરાશાયી થતા કામની પોલ ઉઘાડી પડી હતી.ઠેર ઠેર તૂટેલા બ્લોક ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે.તળાવ પૂરેપૂરું ભરાય તે પહેલાં જ પાણીનો નિકાલ કરી ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ, કામ પૂર્ણ થયા બાદ સતત રીપેરીંગના નામે ઠીંગડાં મારવા સહિતના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળ્યુ છે.







