– અંકલેશ્વરના માંડવાના રહીશ મોપેડ બાઈક લઈને ખેતરે જતા હતા તે દરમ્યાન ઝઘડિયાના મુલદ ગામની હદમાં અકસ્માત થયો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં છાસવારે અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે,તાલુકાના વિવિધ વિસ્તારોમાં અવારનવાર અકસ્માતો થતા હોઈ લોકોમાં ચિંતા ફેલાઈ છે. અકસ્માતની એક અન્ય ઘટનામાં અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના ૩૭ વર્ષીય ખેડૂતની મોપેડ સાથે અન્ય મોટરસાયકલ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં મોપેડ (લ્યુના મોટરસાયકલ ) ચાલક ભગવાનભાઈ રેવાદાસભાઈ પટેલ (ઉ.વ.૩૭) ને બન્ને પગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી તેમજ પગની મુખ્ય નસ ફાટી ગઈ હતી.ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ભગવાનભાઈ બોલી શકતા ન હતા.વિગતો મુજબ તા.૭ મીના રોજ અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના ભગવાનભાઈ રેવાદાસભાઈ પટેલ તેમની લ્યુના મોપેડ લઈને ખેતરે જતા હતા તે દરમ્યાન ઝઘડિયા તાલુકાના મુલદ ગામના વિસ્તારની હદમાંથી પસાર થતા હતા તે દરમ્યાન એક અન્ય મોટરસાયકલ તેમની મોટરસાયકલ સાથે અથડાઈ હતી.આ અકસ્માતમાં અન્ય મોટરસાયકલ ચાલક ભાવેશ ડોડીયા રહે.ગામ માંડવા નાને પણ સાધારણ ઈજા થઈ હતી.અકસ્માત બાદ ઈજાગ્રસ્ત ભગવાનભાઈને સારવાર માટે અંકલેશ્વર ખાતે લઈ જવાયા હતા,જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું.અકસ્માત ઝઘડિયા તાલુકાની હદમાં થયેલ હોઈ મૃતક ભગવાનભાઈ પટેલના ભત્રીજા મનોજ ઈશ્વરભાઈ પટેલ રહે.ગામ માંડવા તા.અંકલેશ્વર જી.ભરૂચ નાએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે અન્ય મોટરસાયકલ ચાલક ભાવેશભાઈ ડોડીયા રહે.ગામ માંડવા તા.અંકલેશ્વરના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.



