– આગોતરા આયોજનના ભાગરૂપે અધિક નિવાસી કલેક્ટરે વિવિધ વિભાગના અધિકારીઓને રચનાત્મક સૂચનો કર્યા
ભરૂચ,
આગામી તા.૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના પી.ડબલ્યુ.ડી ગ્રાઉન્ડ,રાજપારડી કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.જેના આયોજન અને અમલવારી સંદર્ભે અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા પ્રતિ વર્ષ ૯ મી, ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેને અનુલક્ષીને રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં આ દિવસ ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.તેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં ૯ મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૫નાં કાર્યક્રમનું આયોજન જિલ્લાના ઝઘડીયા તાલુકાના પી.ડબલ્યુ.ડી ગ્રાઉન્ડ, રાજપારડી કેમ્પસ ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે.
કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલે સંબંધિત વિભાગોને “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીની પૂર્વ તૈયારી કરીને આ દિવસે આદિજાતિ વિસ્તારમાંથી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થી, કલાકાર, રમતવીરો, આદિજાતિ ખેડૂતોનું સન્માન, જેવી કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.સ્થાનિક પધાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ જનમેદની સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજણી કરે તે જોવા સૌને આહવાન કર્યું હતું.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર નિશા, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.




