– ૧૫ દિવસની મહેનત અને ૪૫૦૦ રૂપિયાના ખર્ચે પ્રતિમા તૈયાર કરી પર્યાવરણના સંદેશ સાથે લોકોના આરોગ્યની ચિંતા
ભરૂચ,
ભરૂચના શ્રીજી પુરી યુવક મંડળે અનોખી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી છે.જેમાં સ્વદેશી દવાઓનો ઉપયોગ કરી શ્રીજીની પ્રતિમા બનાવી સ્વદેશી અપનાવોનો સંદેશ આપી રહ્યા છે.
ભરૂચના શ્રીજી પુરી યુવક મંડળ દ્વારા અનોખું અને સંદેશસભર ગણેશજીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે.છેલ્લા ૩૩ વર્ષથી ઈકો ફ્રેન્ડલી પ્રતિમાનું વિવિધ થીમ આધારિત સર્જન કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે પ્રથમવાર ભરૂચમાં ઈન્ડિયન મેડિકલ આયુષ આધારિત ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.
મંડળ દ્વારા ૧૫ દિવસની મહેનતથી વાંસની પતિનું સ્ટ્રક્ચર બનાવી તેમાં કાગળ-પુઠાનો ઉપયોગ કરી પોણા દસ ફૂટની ઊંચાઈ ધરાવતી પ્રતિમાનું નિર્માણ કરી તેમાં હોમિયોપેથી, યુનાની,જેનેરિક,સીધા અને સ્વદેશી દવાઓ મળી કુલ ૧૦ હજારથી વધુ ગોળી અને કેપ્સુલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જે તમામ કેપ્સુલ માત્ર ખાલી ખોખા લગાડવામાં આવ્યા છે.જેથી વિસર્જન બાદ તેમાંથી કોઈપણ પ્રકારનું જીવચરો ને નુકશાન ન પહોંચે.આ પ્રતિમાનું આશરે ૬૦ થી ૭૦ કિલો વજન ધરાવે છે.અને આ પ્રતિમા બનાવવા પાછળ અંદાજીત ૪૫૦૦ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.ગણેશજીની આ પ્રતિમા બનાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે ભરૂચના નાગરિકોને સ્વદેશી અપનાવો અને એલોપેથી દવાઓથી દૂર રહેતો શરીરના અંગોને નુકશાન ન થાય અને લોકો સ્વસ્થ્ય રહે તેવો સંદેશ આપવાનો છે.
શ્રીજી પુરી યુવક મંડળ દ્વારા દર વર્ષે અવનવી થીમ સાથે ઈકો ફ્રેન્ડલી આનોખા ગણેશજીની સ્થાપના કરી વિવિધ સંદેશા ફેલાવવા સાથે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે સ્વદેશી દવાઓ અપનાવી પોતાના શરીરના અંગો ન બગડે અને પર્યાવરણ પ્રત્યે ભરૂચના લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.




