– ઉપરવાસ માંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક : હાલ નર્મદા ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી : 24 કલાકમાં 40 સેમીનો વધારો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા ડેમના 23 દરવાજા આ સિઝનમાં પ્રથમવાર ખોલવામાં આવતા નર્મદા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે.જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં વધારો થયો છે.મધ્ય પ્રદેશના ઉપરવાસ માંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક થઈ છે.હાલ નર્મદા ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી છે.છેલ્લા 24 કલાક માં 40 સેમી નો વધારો નોંધાયો છે.
આજે નર્મદા ડેમના 23 ગેટ 2.50 મીટર ખોલવામાં આવ્યા હતા.નર્મદા ડેમના 23 ગેટ માંથી નર્મદા નદી માં 4,46,451 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે.હાલ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.નર્મદા ડેમ 90.93 ટકા ભરાયો છે.આ વર્ષે 100 ટકા ભરવાની પુરી શક્યતા છે.ડેમમાં ગ્રોસ સ્ટોરેજ – 8602.40 MCM મિલિયન ઘન મીટર છે.ડેમની વધતી જતી સપાટીને કારણે નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ,નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.




