(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ- ઝંખવાવ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરનો ૩૦માં પાટોત્સવ ની ઉજવણી તા.૯ ના રોજ ભકિતમય માહોલમાં આનંદ ઉત્સાહ થી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના વારસદાર ગુરૂહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના આત્મીય સમાજ અને માનવ કલ્યાણના અભિયાનનું પ્રથમ પુષ્પ એટલે નેત્રંગની ધરતી પર સાકારિત થયેલું શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર “ભક્તિધામ સંકુલ”૫.પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ આ સંકુલ તેમજ આ વિસ્તારમાં નિવાસ કરતા વનવાસી ક્ષેત્રના યુવાનો અને પરિવારોના ઉત્કર્ષ માટે પોતાના પ્રથમ દીક્ષિત સંતવર્ય પૂજય ભક્તિવલ્લભ સ્વામીજીને પસંદ કર્યા.તેમણે અહી ગામડે ગામડે ફરીને યુવાનોને જાગ્રત કરી સત્સંગ અને ભક્તિના માર્ગે વાળીને યુવા સમાજનું સર્જન કર્યુ અને કેટલાય પરિવારો ને મંદિર તુલ્ય બનાવ્યાં.
ગુરૂહરિ પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીના આશીર્વાદથી સત્સંગ અને ભક્તિની મહેંક પ્રસરાવતા આ ભક્તિધામ સંકુલને ૩૦ વર્ષ પૂર્ણ થઈ રહયા છે.આ દિવ્ય અવસરે હરિધામ તીર્થક્ષેત્રથી વડીલ સંતવર્ય પૂજય નિર્મળ સ્વામીજી અને સંતવર્ય પૂજય સંતવલ્લભ સ્વામીજીના સાનિધ્યમાં ભક્તિધામ સંકુલમાં ૩૦માં પાટોત્સવના આ મંગલ અવસરે શ્રીઠાકોરજીના દર્શન અને પૂજન તેમજ મહાપૂજાના દર્શન અને સંતોના આશીર્વાદનો લાભ લેવા હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીના દર્શન, પૂજન, અર્ચન, મહાપુજા તેમજ સત્સંગનો અને પ્રસાદીનો લાભ લીધો હતો.




