– તાલુકાના શિવમંદિરો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા-ઠેરઠેર મદિરોમાં પુંજા કિર્તનના કાર્યક્રમ યોજાયા
(જયશીલ પટેલ, ઝઘડિયા)
આજે શિવરાત્રીનું પર્વ ઠેરઠેર પરંપરાગત ભક્તિભાવથી મનાવાયું હતું.ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં પણ શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી નર્મદા નદી વહે છે.પૌરાણિક દ્રષ્ટિએ નર્મદાનો મોટો મહિમા છે. નર્મદાના કિનારે ઘણા શિવ મંદિરો આવેલ છે.જેમાં ઝઘડિયા તાલુકામાં પણ અસંખ્ય પૌરાણિક (૫૦૦ વર્ષથી વધુ પ્રાચીન) શિવાલયો અડીખમ છે.તાલુકામાં સરપેશ્વર મહાદેવ, વાઘેશ્વર મહાદેવ, દુધેશ્વર મહાદેવ, અનરકેશ્વર મહાદેવ, લિબેશ્વર મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ, મણિનાગેશ્વર મહાદેવ જેવા મંદિરો આવેલા છે, આ મંદિરોનો ઈતિહાસ ૫૦૦ વર્ષથી વધુ પ્રાચીન છે એમ કહેવાય છે.શિવરાત્રી નિમિત્તિ આ પ્રાચીન શિવાલયોમાં અનેરો ભક્તિનો પ્રવાહ જોવા મળે છે.આજરોજ શિવરાત્રી નિમિત્તે વહેલી સવારથીજ શિવાલયોમાં ભક્તો શિવ આરાધના માટે સજ્જ થયા હતા.ઝઘડિયા તાલુકામાં ઝઘડિયાના અમરનાથ મહાદેવ,રાણીપુરાના જગન્નાથ મહાદેવ, ગોવાલીના ગુપ્તેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ, રાજપારડીના હર્ણેશ્વર મહાદેવ, ઉમલ્લાના સોમેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરો ખાતે શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.ભંડારાના આયોજન થયા હતા.શિવરાત્રી નિમિત્તે હોમ હવન, રુદ્રી પાઠ, શિવમહિમ્ન સ્ત્રોત્રના પાઠ દિવસભર મંદિરોમાં ગુંજતા રહ્યા હતા. શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે.પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી બીલીપત્રો ચઢાવે છે અને દુધ અને પાણીનો અભિષેક કરે છે.શિવરાત્રીનું પર્વ શિવભકતોમાં અદકેરૂ મહાત્મય ધરાવતું પર્વ મનાય છે.બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી આ દિવસને મહાશિવરાત્રી નામ અપાયું.આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર ગણાય છે,ઝઘડિયા તાલુકામાં શિવરાત્રી નિમિત્તે મંદિરોમાં ઠેરઠેર પુંજા અર્ચના અને ભજન કિર્તનના કાર્યક્રમ યોજાયા હતા.




