– વંદન મહિલા જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં વ્યસન મુક્તિ અને મહિલા જાગૃતિ માટે મશાલ યાત્રા યોજાઈ
(જ્યશીલ પટેલ, ઝઘડિયા)
દર વર્ષે ૮ મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થાય છે.સમાજમાં મહિલાઓનું આત્મસન્માન જળવાય,વિવિધ ક્ષેત્રે મહિલાઓ ઉચ્ચ સ્થાન મેળવે અને રોજગાર બાબતે આત્મનિર્ભર બને તે માટે મહિલાઓમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થાય છે.ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વંદન મહિલા જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યસન મુક્તિ મશાલ યાત્રા અને મહિલા જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.લોકો અને ખાસ કરીને યુવાનો વ્યસન મુક્ત બને તે માટે વ્યસન મુક્તિનો સંદેશ આપવાના ઉદ્દેશથી વ્યસન મુક્તિ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ઝઘડિયા કોમ્યુનિટી હોલ ખાતે ગતરોજ તા.૩ જી માર્ચના રોજ મહિલા જાગૃતિ સંમેલન યોજાયું હતું.કાર્યક્રમ દરમ્યાન સ્ત્રી સશક્તિકરણ અને મહિલાઓને સમાન અધિકારો મળે તે માટે મહિલાઓએ જાગૃત થવા અનુરોધ કરવામાં આવ્યો, ઉપરાંત સમાજમાંથી વ્યસનો દુર થાય અને સમાજ સાચા અર્થમાં વ્યસન મુક્ત બને તે માટે સંકલ્પ લેવામાં આવ્યો અને વ્યસન મુક્તિના સંદેશ દ્વારા નવી પેઢી માટે સારા સંસ્કારોનું નિર્માણ થાય અને એક સકારાત્મક પરિવર્તન આવે તે માટે સહુને કટિબધ્ધ બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો.




