– ધારાસભ્યએ પોતે આમોદથી જંબુસર બસમાં મુસાફરી કરી કાર્યકરો સાથે હનુમાન ચાલીસાનું પઠન કર્યુ
ભરૂચ,
ધારાસભ્ય ડી.કે.સ્વામીએ મુસાફરો અને શ્રદ્ધાળુઓની માંગને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પાસે સાળંગપુર રૂટની બસની માંગણી કરી હતી.જે રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવતા આજ રોજ આમોદ – સાળંગપુર–બોટાદ નવી બસને ધારાસભ્ય ડી કે.સ્વામીએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.તેમજ ભાજપના કાર્યકરો, હોદેદારો અને મુસાફરો સાથે બસમાં પોતે બેસી હનુમાન ચાલીસાનું પઠન કરતા બસની મુસાફરી કરી હતી.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જાતે બસમાં બેસીને જંબુસર સુધીની મુસાફરી કરી લોકપ્રતિનિધિ તરીકે જનતા સાથેની નિકટતા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાળંગપુર ખાતે કષ્ટભંજન દાદાના દર્શન માટે જતા હોય ત્યારે નવી બસ ફાળવી આપતા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.આમોદથી બોટાદ જતી બસ દરરોજ સવારમાં ૫:૪૫ વાગ્યે આમોદથી ઉપડશે અને ૧૨:૩૦ કલાકે સાળંગપુર પહોંચાડશે તેમ જાણવા મળ્યું છે.ત્યારે આમોદથી નવી બસ શરૂ થતા શ્રદ્ધાળુઓ તેમજ મુસાફરોમાં ઉત્સાહ સાથે હર્ષની લાગણી જોવા મળી હતી.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ વધુમાં વધુ લોકોને બસની સુવિધાનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.આ સાથે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જંબુસર બસ ડેપો ખાતેથી જંબુસર દ્વારકા બે બસો તેમજ અમોદથી બોટાદ જતી બે બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. જંબુસર દ્વારકા બસ સવારે સાત કલાકે જંબુસર ડેપોમાંથી ઉપડશે તેમ ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.આ પ્રસંગે જંબુસર ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડ વિભાગીય નિયામક સહિતના અધિકારીઓ સાથે આમોદ – જંબુસર ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




