(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદાના મુખ્ય મથક રાજપીપળા શહેરના સ્ટેશન રોડ પર આવેલ ભારત રત્ન ડૉ.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તેમની જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તથા નાંદોદ ના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ દ્વારા પુષ્પાંજલિ અર્પી નમન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડૉ.આંબેડકરના જીવન, સંઘર્ષ અને બંધારણ નિર્માણમાં આપેલ અમૂલ્ય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.તેમજ સમાજમાં સમાનતા,ન્યાય અને શિક્ષણના વિચારને આગળ વધારવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ત્યાર બાદ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને લઈ તમામ કાર્યકરો દ્વારા પ્રચાર-પ્રસારની કામગીરી શરૂ કરવા માટે બાબાસાહેબના ચરણોમાં આશીર્વાદ માંગવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કાર્યકરોને સંગઠિત થઈને ચૂંટણીમાં જનસંપર્ક વધારવા તેમજ સરકારની વિકાસલક્ષી યોજનાઓને જન જન સુધી પહોંચાડવા આહ્વાન કરવામાં આવ્યું હતું.




