– સમૂહલગ્નોત્સવો સામાજિક સમાનતા અને સમરસતાનો સંદેશ પ્રસરાવે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
– વિકસિત ભારત માટે વડાપ્રધાને આપેલા સમાજહિત-રાષ્ટ્રહિતના નવ સંકલ્પો પાર પાડવા નવદંપતિઓને મુખ્યમંત્રીનું પ્રેરક આહવાન
ભરૂચ,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના દુર્ગમ આદિવાસી વિસ્તાર નેત્રંગ તાલુકાના કાકડકુઈની માધવ વિદ્યાપીઠમાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં પ્રભૂતામાં પગલા પાડતા 51 નવ યુગલોને સફળ દાંમ્પત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.
વિશ્વબંધુ પરિવાર અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતીના ઉપક્રમે આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન-વિશ્વબંધુ પરિણય સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.મુખ્યમંત્રીએ સામાજિક સમરસતા અને સમાનતાને વિકાસના મુખ્ય સ્તંભમાના એક સ્તંભ ગણાવતાં કહ્યુ કે, આવા સમૂહ લગ્નોત્સવોમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્નગ્રંથીથી જોડાય છે તેનાથી સમાજમાં સમાનતા અને સમરસતાનો સંદેશ પ્રસરે છે.તેમણે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વંચિત, પિડીત, આદિજાતિઓના વિકાસ સહિત સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી સામાજિક સમરસતા અને વંચિતોના કલ્યાણના અનેક કદમ ઉઠાવ્યા છે.રાજ્ય સરકાર પણ આદિવાસીઓ, વંચિત પરિવારોની દીકરીઓના લગ્ન સમયે કુંવરબાઈનું મામેરૂં યોજનાનો લાભ આપી જરૂરતમંદોની પડખે ઉભી રહે છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આદિવાસીઓના ભગવાન બિરસામૂંડાની 150મી જન્મજયંતિ વડાપ્રધાનની પ્રેરણાથી દેશમાં ઉજવાઈ અને વંચિતોના વિકાસને વેગ મળ્યો છે.જેમને કોઈ પુછતુ નહિ તેને મોદી સાહેબે પૂજ્યા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે જે નવ સંકલ્પો આપ્યા છે તેમાં પાણી બચાવો, એક પેડ માં કે નામ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, દેશ-દર્શન, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન તેમજ સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવનશૈલી તથા યોગ-પ્રાણાયમને જીવનનો ભાગ બનાવવા અને ગરીબોની સહાયતાને અપનાવીને સમાજહિત-રાષ્ટ્રહિત ભાવ સાકાર કરવા નવ દંપતિઓને આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે રાષ્ટ્રરૂષિ વિશ્વ બંધુ શ્રી શશિભાનુ રાજયોગીજી, સામાજિક અગ્રણીઓ, વિશ્વબંધુ પરિવાર તથા વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતીના પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ અને આદિજાતિ પરિવારો સહભાગી થયા હતા.



