– શિક્ષકો બાળકોના ઉજ્જવળ ભવિષ્યના ઘડવૈયા છે: સાંસદ મનસુખ વસાવા
– શ્રેષ્ઠ શિક્ષકો,નિવૃત્ત શિક્ષકો તથા કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
૫ સપ્ટેમ્બર, શિક્ષક દિનની ઉજવણી નિમિત્તેસાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં રાજપીપલા સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે નર્મદા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો.જેમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત નિવૃત્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો તેમજ નિવૃત્ત વહીવટી કર્મચારીઓ અને સેવક કર્મચારીઓનું પણ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષકોએ પોતાની પ્રતિભા પણ રજૂ કરી હતી.
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, બાળકોના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.શિક્ષકોએ પોતાની પાસે રહેલું જ્ઞાન અને અનુભવ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી તેમની પ્રતિભાને ખીલવવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં ભાવિ પેઢીનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે.
નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં શિક્ષકોનું યોગદાન અમૂલ્ય છે.તેમણે નર્મદા જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવી “શિક્ષણનું હબ” બનાવવા સૌને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. કિરણ પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે લીલા ગૌધામ, બરકાલ દ્વારા ઉપસ્થિતો માટે પ્રાથમિક તબીબી તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.



