ભરૂચ,
સગીરા સ્કૂલેથી ઘરે જવા માટે રિક્ષામાં બેસી સવાર હતી તે દરમ્યાન રીક્ષા ચાલકે તેને અન્ય માર્ગે થી ડરાવી-ધમકાવીને ટ્રેન મારફતે મુંબઈ તરફ લઈ જઈ રહ્યો હતો.મુસાફરી દરમ્યાન બાળકી વૉશરૂમ જવાના બહાને ભરૂચ રેલ્વે સ્ટેશન પર ટ્રેન માંથી ઉતરી જતા રેલવે પોલીસે સખી વન સ્ટોપ સેન્ટરને સોંપતા ટીમ દ્વારા પરિવારનો સંપર્ક કરતા બાળકી મોટા ગુનાનો ભોગ બનતા અટકી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૦૭/૦૯/૨૦૨૬ ના રોજ સવારના આશરે ૯:૩૦ વાગ્યે ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૪ ઉપર એક ૧૬ વર્ષની સગીર બાળકી એકલી અને મૂંઝવણભરી હાલતમાં બેસેલી હતી. રેલ્વે પોલીસની ‘શી-ટીમ’ (She-Team) ના ફરજ પરના કર્મચારીઓની નજર આ બાળકી પર પડતાં તેમણે બાળકીની પ્રેમપૂર્વક પૂછપરછ કરી હતી.પૂછપરછ દરમ્યાન બાળકીએ પોતાનું નામ અને સરનામું જણાવ્યું હતું.બાળકીએ આપવીતી જણાવતા કહ્યું કે ગઈ તારીખ ૦૫/૦૯/૨૦૨૬ ના રોજ તે પોતાની સ્કૂલેથી ઘરે જવા માટે રીક્ષામાં બેઠી હતી.તે સમયે રીક્ષા ચાલક તેને બીજા રસ્તે લઈ ગયો હતો અને ડરાવી-ધમકાવીને ટ્રેન મારફતે મુંબઈ તરફ લઈ જઈ રહ્યો હતો.મુસાફરી દરમ્યાન બાળકીએ હિંમત દાખવી વૉશરૂમ જવાના બહાને ભરૂચ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરી ગઈ હતી અને ત્યાં જ રોકાઈ ગઈ હતી.જે બાદ રેલ્વે પોલીસે બાળકીને આશ્વાસન આપી સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવી હતી.ત્યાર બાદ બાળકીને તાત્કાલિક સુરક્ષિત આશ્રય અને કાઉન્સેલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચ ખાતે રીફર કરવામાં આવી હતી.જ્યાં સેન્ટર દ્વારા બાળકીને રહેવા, જમવા તથા માનસિક હૂંફ પૂરી પાડી આશ્રય આપવામાં આવ્યો છે.જે બાદ રેલ્વે પોલીસ અને સખી સેન્ટરના સંયુક્ત પ્રયાસોથી બાળકીના પિતાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને બાળકીના પિતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે આ બાબતે તેમના નજીકના સ્થાનિક પોલીસ સ્ટેશન (ઉત્તર પ્રદેશ) માં બાળકીના અપહરણ (Kidnapping) નો ગુનો અગાઉથી જ નોંધાયેલો છે.પરિવારને બાળકી સુરક્ષિત હોવાના સમાચાર મળતાં જ તેના પિતા તથા ઉત્તર પ્રદેશ પોલીસના કર્મચારીઓ બાળકીનો કબજો લેવા માટે ઉત્તર પ્રદેશથી ભરૂચ આવવા રવાના થયા હતા.
હાલમાં બાળકી સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચ ખાતે સંપૂર્ણ સુરક્ષિત અને આશ્રય હેઠળ છે.ભરૂચ રેલ્વે પોલીસ (શી-ટીમ) ની સતર્કતા અને સખી વન સ્ટોપ સેન્ટરના ત્વરિત કાયદાકીય તેમજ માનસિક સહયોગના કારણે એક સગીર બાળકી મોટા ગુનાનો ભોગ બનતા બચી હતી અને ટૂંક સમયમાં જ પોતાના પરિવારને પુનઃ મળનાર છે.



