– શાળાનું મકાન સહીત ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રાંત કચેરી ડેડીયાપાડા વાલી વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યુ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ચિકદા ગામ ખાતે આવેલ મોડેલ સ્કૂલ ડે સ્કૂલ ખાતે ધોરણ 10 થી 12 માં કાયમી કે જ્ઞાન સહાયક એક પણ શિક્ષક ન હોવાથી અને શાળાનું મકાન સહીત ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રાંત કચેરી ડેડીયાપાડા ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.વાલી વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે દિન 7 માં નિરાકરણ નહીં આવે તો ધરણા પર બેસી ઉગ્ર આંદોલન કરશે.આ ડે મોડેલ સ્કૂલ માં બે ત્રણ મહિનાથી શિક્ષક ન હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી.
વાલી વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે આ શાળામાં ઉચ્ચતર મા.વિ.(વિજ્ઞાન પ્રવાહ) અને માધ્યમિક વિભાગમાં હાલમાં એકપણ શિક્ષક નથી જેથી વાલીઓ અને ગામનાં સરપંચ વારંવાર મૌખિક રીતે ફરિયાદ કરી રહ્યા છે.વાલીઓએ જિલ્લા શિક્ષણાઅધિકારીને લેખિત રજુઆત કરી છે. વિધાર્થીઓને અભ્યાસમાં ખુબ જ તકલીફ પડતી હોવાને કારણે વિધાર્થીઓનાં હિત માટે બાયોલોજી, કેમેસ્ટ્રિ, ફિઝિકસ અને અંગ્રેજી વિષય ભણાવતા શિક્ષકો મૂકવાની માંગ કરી છે.
વધુમાં દેડીયાપાડા તાલુકામાં એકપણ સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળા નથી.બાજુનાં સાગબારા તાલુકામાં ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) પાનખલ્લા, ચિકદાથી 19 કિ.મી અને મોડેલ સ્કૂલ સેલંબા, ચિકદાથી 23 કિ.મી એમ બે સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાઓ છે.અથવા એવા જ્ઞાન સહાયકો કે જેઓ શિક્ષણ સહાયક તરીકે નિમણુંક પામેલ નથી અને હાલ કોઈપણ શાળામાં શૈક્ષણિક કાર્ય પણ કરાવતા ન હોવાની પણ રજૂઆત કરી હતી.આ શાળામાં ધો.6 થી 12 (વિ.પ્ર.) માં કુલ 87 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.શાળામાં તમામ શિક્ષકો જ્ઞાન સહાયક હતા.તેઓની શિક્ષણ સહાયક તરીકે નિમણુંક થતાં તમામ જ્ઞાન સહાયક શાળા છોડી ગયેલ છે. હાલ શાળામાં ઈન્ચાર્જ આચાર્ય અને વોકેશનલ ટ્રેનર સિવાય એકપણ શિક્ષક નથી.આમ બદલાતાં રહેતાં શિક્ષકો અને શાળાનાં મકાન બાબતે વાલીઓ, ગ્રામજનો અને વિધાર્થીઓ વારંવાર ફરિયાદ કરે છે અને રજૂઆત કરતાં રહે છે કે શાળાનું મકાન ક્યારે બનશે અને કાયમી શિક્ષકો ક્યારે આવશે.
ધો.12 (વિ.પ્ર.)માં 07 વિદ્યાર્થી છે. ધો.11 (વિ.પ્ર.)માં એકેય વિધાર્થી નથી.વિજ્ઞાન પ્રવાહનાં વિધાર્થીઓને અભ્યાસમાં ખુબ જ નુકશાન થઈ રહ્યું છે.વિજ્ઞાન પ્રવાહમાં એક માસથી એકપણ શિક્ષક નથી. હાલ સ્માર્ટબોર્ડ દ્રારા તેમને દિક્ષા એપ્લીકેશન, શાળામિત્ર અને જ્ઞાનકુંજ મારફત વિષયવાર વિડિયો બતાવી અભ્યાસક્રમ ચલાવાય છે.પરંતુ જે-તે વિષયનાં શિક્ષકો વગર ભણવું તેમનાં માટે મુશ્કેલ બની રહ્યું છે.




