ભરૂચ,
ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની પ્રતિન ચોકડી પર આજે એક મોટી દુર્ઘટના થતા માંડ માંડ ટળી હતી. જેનું શ્રેય ત્યાં હાજર રહેલા જાગૃત અને હિંમતવાન સ્થાનિક નાગરિકોને જાય છે.
ઘટનાની વિગત એવી છે કે અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક કન્ટેનર ટ્રકનું ટાયર અચાનક બોલ્ટ ખૂલી જવાથી ગાડીમાંથી છૂટું પડી ગયું હતું અને તે રોડ પર આગળ ધસી ગયું હતું.ભરચક ટ્રાફિકવાળી આ ચોકડી પર ચાલતા વાહનમાંથી ટાયર છૂટું પડતા જ ગભરાહટનો માહોલ છવાઈ ગયો હતો. કારણ કે આ છૂટું પડેલું ટાયર કોઈ અન્ય વાહન કે રાહદારીને ટકરાઈને ગંભીર જાનહાનિ કરી શકે તેમ હતું. પરંતુ આ કટોકટીની ક્ષણે ચોકડી પર હાજર રહેલા સ્થાનિક લોકોએ અદ્દભુત ચતુરાઈ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું.કોઈપણ જાતના ડર વગર સૌએ મળીને ત્વરિત કાર્યવાહી કરી હતી. તેઓએ તરત જ આગળ ધસી રહેલા ટાયરને પકડી પાડ્યું અને તેને પાછું કન્ટેનર સુધી લાવ્યા હતા.
સ્થાનિકોએ માત્ર ટાયર પકડવામાં જ મદદ ન કરી પરંતુ ડ્રાઈવરની મદદ માટે પણ આગળ આવ્યા હતા. સૌના સહયોગથી તુરંત જ જેક લગાવીને છૂટું પડેલું ટાયર ફરીથી કન્ટેનરમાં ફિટ કરવામાં આવ્યું હતું. અને વાહનને ફરીથી સુરક્ષિત રીતે રસ્તા પર દોડવા યોગ્ય બનાવ્યું હતું.સ્થાનિકોની આ માનવતાભરી મદદ અને સમયસૂચકતાને કારણે કોઈપણ પ્રકારની મોટી જાનહાનિ કે વાહન-વ્યવહારને નુકસાન થતું અટક્યું હતું.
સમગ્ર ઘટનાથી બચી ગયેલા કન્ટેનરના ડ્રાઇવરે રાહતનો શ્વાસ લીધો હતો અને મદદ કરનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે જાહેર માર્ગો પર લોકોની જાગૃતિ, સહકાર અને માનવતા જ મોટી દુર્ઘટનાઓને ટાળવા માટે સૌથી મહત્વપૂર્ણ સાબિત થાય છે







