ભરૂચ,
ગુજરાત સરકારના “વિકાસ સપ્તાહ – ૨૦૨૫” અંતર્ગત આજે ભરૂચ જિલ્લામાં વિકાસ રથને લીલી ઝંડી આપીને કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં માનનીય પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે (IAS), કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પટેલ (GAS) તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મહાનુભાવોએ સંયુક્ત રીતે લીલી ઝંડી બતાવી વિકાસ રથને રવાના કર્યો.
આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી ઉજવાતા આ વિકાસ સપ્તાહ દરમિયાન ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકાસ રથ ફરશે. રથ દ્વારા સામાન્ય નાગરિકોને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેમ કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કિસાન સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, નળથી ઘરઘર પાણી યોજના, કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર સંબંધિત યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું કે વિકાસ રથ લોકો સુધી સરકારની “સુશાસન, સેવા અને સમર્પણ”ની વિચારધારા પહોંચાડશે. રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સતત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને અપીલ કરી કે વિકાસ રથ દ્વારા આપવામાં આવતી માહિતીનો લાભ લઈ સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકારી મેળવી તેનો ઉપયોગ કરે અને રાજ્યના “વિકસિત ગુજરાત – વિકસિત ભારત”ના ધ્યેયમાં સહભાગી બને.







