best news portal development company in india

હાંસોટના વમલેશ્વર ખાતે ૨૧.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલી જેટીનું મંત્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાપર્ણ

SHARE:

– જેટીની સુવિધા ઉપલબ્ધ થતા માં નર્મદાના લાખો પરિક્રમાર્થીઓને હવે કોઈ મુશ્કેલી નહીં પડે : કુંવરજી હળપતિ
– મંત્રી,સાધુસંતો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતીમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી માં નર્મદાને સાડી અર્પણ કરાઈ
ભરૂચ,
સમગ્ર ભારત વર્ષની એકમાત્ર નદી માં નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે.વર્ષ દરમ્યાન લાખો શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરતા હોય છે.સમગ્ર નર્મદા પરિક્રમા માં રેવાનાં સંગમ તિર્થ વમલેશ્વર એ નર્મદા પરિક્રમા માટે અનોખું મહત્વ ધરાવે છે.ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે દરિયો પસાર કરવા માટે નર્મદા પરિક્રમાવાસીઓની તકલીફોને ધ્યાને લઈ રાજય સરકાર નર્મદા,જળ સંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી ગુજરાત મેરીટાઈન બોર્ડ દ્વારા રૂપિયા ૨૧.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત જેટીનું ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન પરિક્રમાવાસીઓની મુશ્કેલી જોઈ, જે દૂર કરવા માટે કરેલા દુરંદેશી વિચારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે સાકાર કરી આ જેટીનું નિર્માણ કર્યું છે.આ પ્રકલ્પના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીનો સંદેશો લઈને હું અહીં આવ્યો છું અને આ પવિત્ર કાર્યમાં મહત્વના પ્રોજેક્ટને પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકતા આનંદની લાગણી અનુભવુ છું. કેન્દ્ર સરકારના સાનિધ્યમાં ગુજરાત સરકાર હંમેશાં વિકાસના માર્ગે ડબલ ગતિથી આગળ ધપી રહી છે ત્યારે દરેક ક્ષેત્રમાં પછી તે આધ્યાત્મિક હોય કે નાગરિકોના કલ્યાણની વાત હોય સૌની સુખાકારી માટે સતત ચિંતા કરી છે.જેના ફળ આપણે સહુ પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ.ગુજરાત સરકારના મેરિટાઈમ વિકાસ બોર્ડ દ્વારા હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે નિર્માણ પામેલી આ જેટીનું લોકાર્પણ થતાં હવે માં નર્મદાના લાખો પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી નહીં પડે અને પદયાત્રીઓ તેઓની યાત્રામાં સરળતાથી આગળની વધી શકશે.જેટીના લોકાર્પણ પ્રસંગે મંત્રી, સાધુસંતો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી માં નર્મદાને સાડી અર્પણ કરી બોટની પણ પૂજા કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, જેટીનો એપ્રોચ 350.00 X 3.00 M અને 30.00 X8.00 M માં જેટી બનાવવામાં આવી છે.
લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, રામકુંડ તિર્થ અંકલેશ્વરના ગંગાદાસ બાપુ, ગુજરાત મેરીટાઈમ બોર્ડના મુખ્ય ઈજનેર વી.પી.તલાવિયા,જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, તાલુકા પંચાયત અંકલેશ્વર અને હાંસોટના પ્રમુખો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!