– રાજપારડી ખાતે રિસાયક્લિંગ ટેકનોલોજીના ઉપયોગ, મશીનરી, મટિરિયલ રિક્લેમેશન પ્રક્રિયા અને સમગ્ર ગુણવત્તા નિયંત્રણ સિસ્ટમનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું
– ભરૂચ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત “ગ્રીન ટેકનોલોજી” પ્રોજેક્ટ રાજ્યના અન્ય ડિવિઝન માટે પણ આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થશે
ભરૂચ,
રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ જિલ્લામાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત અને લોકો માટે વધુ ઉપયોગી બનાવવા સતત કાર્યરત છે.ગુજરાત સરકારના માર્ગદર્શન અનુસાર ભરૂચ ડિવિઝનના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વર–રાજપીપળા સ્ટેટ હાઈવે (કિ.મી. 0/00 થી ૪૪/00) પર ચાલી રહેલા ગ્રીન ટેકનોલોજી આધારિત માર્ગ પુનઃનિર્માણ (Road Recycling) કાર્યનું વિશાળ સ્તરે નિરીક્ષણનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું.તાજેતરમાં જિલ્લાના અંકલેશ્વર–રાજપીપળા સ્ટેટ હાઇવે માર્ગનું નિર્માણ કાર્ય ગ્રીન ટેકનોલોજી આધારિત માર્ગ પુનઃનિર્માણથી થઈ રહ્યુ છે.જેને અનુસંધાને સરકારની સૂચનાથી જોઈન્ટ ડાયરેક્ટર ગેરી વડોદરા, કાર્યપાલક ઈજનેરો,નાયબ કાર્યપાલક ઈજનેરો, મદદનીશ ઈજનેરો,અધિક મદદનીશ ઈજનેરો, વડોદરા સર્કલ,સુરત સર્કલ,અમદાવાદ સર્કલ તેમજ કેપિટલ સર્કલ ગાંધીનગરના વરિષ્ઠ ઈજનેરો (સ્ટેટ અને પંચાયત) પણ અંકલેશ્વર–રાજપીપળા સ્ટેટ હાઈવેની મુલાકાતમાં જોડાયા હતા.
આ વરિષ્ઠ ઈજનેરોએ ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે રિસાયક્લિંગ ટેકનોલોજીના ઉપયોગ, મશીનરી, મટિરિયલ રિક્લેમેશન પ્રક્રિયા અને સમગ્ર ગુણવત્તા નિયંત્રણ સિસ્ટમનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. ગ્રીન ટેકનોલોજી આધારિત માર્ગ પુનઃનિર્માણ (Road Recycling) ના પ્રોજેક્ટમાં અધિકારીઓએ પ્રોજેક્ટની કામગીરી, ટેકનિકલ ગુણવત્તા અને સ્થળ પરની વ્યવસ્થાઓ વગેરેની વિગતો જાણી, કામની ગુણવત્તાની સમીક્ષાઓ કરી અને જરૂરી સૂચનો આપ્યા હતા.
આ વેળા રચનાત્મક માર્ગદર્શન આપતા જણાવ્યું કે આ પ્રોજેક્ટ રાજ્યના અન્ય ડિવિઝન માટે પણ આદર્શ મોડલ તરીકે કામ કરશે.સ્થાનિક નાગરિકો અને મુસાફરો દ્વારા માર્ગ સુધારણા કાર્યને હાર્દિક આવકાર મળ્યો છે,ભવિષ્યમાં વધુ સારી સુવિધાઓ મળે અને શહેર અને ગ્રામીણ વિસ્તારની કનેક્ટિવિટી સુધારવાનો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બાંધકામ ક્ષેત્રે થઈ રહેલા અવિરત વિકાસની સાથે પર્યાવરણનું સંતુલન પણ જળવાય તે હેતુથી ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કેટલાક રસ્તાઓનું નવિનીકરણ ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગ સાથે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.સર્વાંગી વિકાસ અને પર્યાવરણીય સ્થિરતાને વેગ આપવા માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ભરૂચ જિલ્લાના રસ્તાનો સમાવેશ કરાયો છે.ત્યારે રોડ રિસાયક્લિંગ જેવી ગ્રીન ટેકનોલોજી માર્ગ વિકાસ ક્ષેત્રે ખર્ચ બચાવનાર, ભવિષ્યમાં આ ટ્રીટમેન્ટથી પર્યાવરણને થતું નુકશાન ઘટાડવા તેમજ ટ્રીટમેન્ટના પરિણામ પ્રમાણે ઉમદા કાર્ય કરી શકાશે. આથી જ આ ટેકનોલોજી પર્યાવરણમિત્ર તરીકે ઉભરી રહી છે.કુદરતી સંસાધનોના સંરક્ષણ સાથે ઝડપી અને ટકાઉ માર્ગ નિર્માણ શક્ય બનાવતી આ ગ્રીન ટેકનોલોજી છે.







