– કાદવ ભરેલા રસ્તે વાંસનો ટેકો લઈને મૃતદેહ લઈ જતા વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
ભરૂચ,
ભરૂચના તાલુકા મથક હાંસોટમાં અંતિમ યાત્રા માટે ડાઘુઓએ વિકટ પરિસ્થિતિ માંથી પસાર થવું પડી રહ્યું છે.સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
ભરૂચ જીલ્લાના તાલુકા મથક હાંસોટમાં આવેલ આદિવાસી સ્મશાન સુધી પહોંચવા યોગ્ય રસ્તો ન હોવાથી સ્થાનિક લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.ખાસ કરીને વરસાદી ઋતુ દરમ્યાન સ્થિતિ વધુ દયનીય બની જાય છે.કાદવ અને કીચડથી ભરાયેલા રસ્તે અંતિમ યાત્રા લઈ જતી વખતે લોકો વાંસનો સહારો લઈને મુશ્કેલીપૂર્વક પસાર થવા મજબૂર બન્યા છે. નજીક માંથી પસાર થતી નહેરનું પાણી રસ્તા પર પાછું ફરી આવે છે.જેના કારણે સ્મશાન તરફ જતો રસ્તો પાણી અને કાદવથી ભરાઈ જાય છે. તાજેતરમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પસાર થતી એક અંતિમ યાત્રાનો વિડિયો સામે આવતા મામલો ચર્ચામાં આવ્યો છે.વીડિયોમાં લોકો કાદવ ભરેલા રસ્તે વાંસનો ટેકો લઈને મૃતદેહ લઈ જતા જોવા મળ્યા હતા,જેને પગલે સ્થાનિક વતનીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.
આ અંગે હાંસોટના સરપંચ હિતેશ પટેલે જણાવ્યું હતું કે સ્મશાન અને તેને જોડતા સીસી રોડ માટે પાંચ લાખની મંજુરી મળી ચૂકી છે પરંતુ જમીન ખારવાળી હોવાથી કામગીરી શરૂ કરવામાં ટેકનિકલ મુશ્કેલીઓ આવી રહી છે.આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠક કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.







