ભરૂચ,
અંકલેશ્વર નજીકથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચોરીના ભંગાર સાથે બે આરોપીઓને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી 5.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી.બાતમી મુજબ, એક આઇસર ટેમ્પોમાં કેટલાક ઈસમો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સરફુદ્દીન ખાલપીયા સાઈટ પરથી ચોરીનો સામાન કટિંગ કરીને અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા.
આ બાતમીના આધારે પોલીસે પુનગામ પાટિયા પાસે વોચ ગોઠવી હતી.શંકાસ્પદ ટેમ્પો આવતા તેને રોકવામાં આવ્યો અને તપાસ કરતા તેમાંથી 2600 કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો.પોલીસે ટેમ્પોમાં સવાર ચંદ્રશેખર માનસિંગ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિની ધરપકડ કરી હતી.બંને ગડખોલ ગામના જનતા નગરના રહેવાસી છે.
પૂછપરછ દરમ્યાન આરોપીઓએ કબૂલ્યું કે સરફુદ્દીન ખાલપીયા ગામના 11 ઈસમોએ નર્મદા નદીના કિનારે સંગ્રહ કરેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાનને ગેસ કટરથી કાપીને ભેગો કર્યો હતો.તેઓ રાજપાલ નામના વ્યક્તિના ફોન આવતા આ જથ્થો લેવા ગયા હતા.પોલીસે 75,000નો ભંગાર, મોબાઈલ ફોન અને ટેમ્પો સહિત કુલ 5.90 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.







