(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે પાળેલું કુતરૂ કરડતા તેને બાંધવાનું કહેતા થયેલ ઝઘડામાં મામલો પોલીસ સુધી પહોંચતા એક મહિલા સહિત કુલ બે વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો.
ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ માલજીપુરા ગામે રહેતા પદમાબેન વસાવાનું પાળેલું કુતરૂ ગત તા.૧ લીના રોજ સવારના આઠ વાગ્યાના અરસામાં ગામની ઉર્મીલાબેન નામની મહિલાને કરડ્યું હતું.ઉર્મિલાબેન ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ધારોલી સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ કુતરૂ દિવાળીના દિવસો દરમિયાન અન્ય મહિલાને પણ કરડ્યું હતું.ત્યારબાદ તા.૩ જીના રોજ ઉર્મીલાબેને બપોરના બે વાગ્યાના અરસામાં પદમાબેનને કહેલ કે તમારૂં કુતરૂ બાંધી રાખો અથવા અહિંયાથી હટાવી દો. આને લઇને પદમાબેન દલપતભાઇ વસાવા અને નિલેશભાઇ દલપતભાઇ વસાવાએ ઉર્મીલાબેન સાથે ઝઘડો કર્યો હતો.તે લોકોએ ગાળો દઇને ઉર્મીલાબેન સાથે ઝપાઝપી કરી હતી,તેમજ નિલેશભાઇએ મારી નાંખવાની ધમકી આપી હતી.ઘટના સંદર્ભે ઉર્મીલાબેનના બહેન સુભદ્રાબેન પ્રવિણભાઇ વસાવા રહે.ગામ માલજીપુરા તા.ઝઘડિયાનાએ પદમાબેન દલપતભાઈ વસાવા તથા નિલેશભાઈ દલપતભાઈ વસાવા બન્ને રહે.ગામ માલજીપુરા તા.ઝઘડિયાના વિરૂધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.







