ભરૂચ,
આમોદમાં વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે શહેરના એમ.બી.પંડ્યા દ્વારા દિવાલો પર પ્રેરણાદાયક સૂત્રો લખવાનું અનોખું અભિયાન છેલ્લા ૩૦ વર્ષથી અવિરત રીતે આગળ વધી રહ્યું છે. વ્યસન મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે તેઓ વર્ષોથી શહેરની વિવિધ જગ્યાઓએ વ્યસન વિરોધી સંદેશાઓ લખી લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપી રહ્યા છે. તેમના આ પ્રયત્નોથી યુવાનો સહિત તમામ વર્ગોમાં વ્યસનના દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવવાનો સકારાત્મક માહોલ સર્જાઈ રહ્યો છે. લગભગ ત્રણ દાયકાથી સતત ચાલતા આ અભિયાનને શહેર તેમજ રાજ્યભરના નાગરિકોએ સરાહનીય ગણાવ્યું છે અને એમ.બી. પંડ્યા વ્યસન મુક્તિ અભિયાનના પ્રેરણાસ્ત્રોત તરીકે ઉભરી રહ્યા છે. મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર અને તંત્રોએ વ્યસન મુક્તિ અંગે વધુ સક્રિય પ્રયાસો કરવા જોઈએ તેમજ સામાજિક સંગઠનોના સહયોગથી સતત જાગૃતિ અભિયાન ચલાવવું જરૂરી છે. સાથે જ તેમણે લોકોને સ્વયં જાગૃત બની વ્યસનથી દૂર રહેવાની અપીલ કરી હતી.




