– દુકાનદારોએ નાયબ કલેક્ટર કચેરીમાં કરી ઉગ્ર રજૂઆત
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લામાં સી.બી.ડી.સી સિસ્ટમમાં સર્વરની સમસ્યા સર્જાતા રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.તહેવારોના દિવસોમાં અનાજ ન મળવાને કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણના બનાવો વધી રહ્યા છે.આ પરિસ્થિતિને લઈને સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા પુરવઠા અધિકારીને સંબોધીને એક આવેદનપત્ર ઝઘડિયા નાયબ કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરી ફિંગરપ્રિન્ટ દ્વારા અનાજ વિતરણની તાત્કાલિક છૂટ આપવા તથા સમયસર કમિશન ચૂકવવા માંગ કરી છે.
આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે સર્વરની ખામી અને ગ્રાહકોની પરેશાની ઉઠાવી પડે છે,પંજાબ નેશનલ બેંક સંચાલિત સી.બી.ડી.સી પોર્ટલમાં સર્વરની સતત ખામીઓના કારણે ૨ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ પોર્ટલ ખુલતું નથી,જેથી ગ્રાહકો અનાજ લીધા વિના ખાલી હાથે પરત ફરવા મજબૂર બન્યા છે.તહેવારોની સિઝનમાં અનાજ ન મળવાથી સ્થાનિક સામાજિક કાર્યકરો, સરપંચ અને પંચાયત સભ્યો દ્વારા દુકાનદારો પર મનસ્વી રીતે અનાજ ન આપવાના ખોટા આક્ષેપો થઈ રહ્યા છે.
ફિંગરપ્રિન્ટથી વિતરણની માંગ કરવામાં આવી છે,૨૫ તારીખ સુધી રાહ જોવાને બદલે, જ્યાં સુધી સી.બી.ડી.સી સિસ્ટમ ૧૦૦ ટકા કાર્યરત ન થાય ત્યાં સુધી કાર્ડધારકોને તાત્કાલિક ધોરણે ફિંગરપ્રિન્ટ (બાયોમેટ્રિક) પદ્ધતિથી જ અનાજ આપવાની મંજૂરી આપવામાં આવે.ઉપરાંત દુકાનદારો દ્વારા સમયસર કમિશન ચુકવણી ની માંગ કરી છે,જે રીતે સરકારી ચલણ ભરવાની તારીખ નિશ્ચિત હોય છે,તે જ રીતે દુકાનદારોનું કમિશન પણ દર મહિનાની ૧ થી ૧૦ તારીખ વચ્ચે સમયસર જમા થાય તેવી નીતિ બનાવવા સરકારમાં રજૂઆત કરવાની માંગ કરાઈ છે.




