– ધારાસભ્ય ડો.દર્શનાબેને સરકારમાં પત્ર લખી રજૂઆત કરી કે ઓછા ભાવો છે એટલે રી-ટેન્ડરિંગ કરાવો : આંતરિક જૂથ વાદ ફરી બહાર આવ્યો છે
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદામાં મનરેગા યોજના અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા મુદ્દે રાજકારણ ગરમાયું છે.એક તરફ નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ સરકારને લખેલા પત્રમાં એમ જણાવે છે કે ઓછા ભાવો છે એટલે રી ટ્રેન્ડરિંગ કરાવો જ્યારે મનસુખ વસાવાએ ડીડીઓને લખેલા પત્રમાં જણાવ્યું કે વર્ક ઓર્ડર આપો.
નર્મદા જિલ્લામાં વર્ષ 2025-26 ના વર્ષ માટે મનરેગા યોજના અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થઈ ગઈ છે.ત્યારે આ ટેન્ડર પ્રક્રિયા મુદ્દે નાંદોદ ધારાસભ્યડો.દર્શનાબેન દેશમુખે ગુજરાત સરકારના મંત્રી રાધવજી પટેલને એક પત્ર લખ્યો છે.જેમાં જણાવ્યું છે કે સરકારના ધારા ધોરણ મુજબ ટેન્ડરના ભાવો એજન્સીઓ દ્વારા માર્કેટ અને એસ.ઓ.આર રેટ કરતા ઓછા 50 થી 60 ટકા ભાવો ફક્ત ટેન્ડર મંજુર કરવાના હેતુથી જ ભરવામાં આવ્યા છે.આ ભાવે જો ટેન્ડર મંજુર કરવામાં આવે તો કામના સ્થળે માલસામાન પહોંચાડી શકાય એવી શક્યતાઓ નથી.જેથી ભવિષ્યમાં એજન્સીઓ દ્વારા નાણાકીય ઉચાપાત કરવાનો હેતુ સ્પષ્ટ જણાય છે.જેથી ઓછા ભાવે મંજુર કરવામાં આવેલા ટેન્ડરો મંજુર ન કરવા અને રિ-ટેન્ડરિંગ હાથ ધરવામાં આવે એવી મારી વિનંતી છે.ડો.દર્શનાબેનના આ પત્ર બાદ સરકારે આ મુદ્દે નિયમોનુસાર કાર્યવાહી કરવા જિલ્લાના અધિકારીઓને જાણ પણ કરી છે.
તો બીજી બાજુ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા ડીડીઓ ને એક પત્ર લખી જણાવ્યું છે કે જિલ્લાના મનરેગા ટેન્ડર પ્રક્રિયાને 4 મહિના થયા હોવા છતાં વર્ક ઓર્ડર અપાયા નથી અને જિલ્લા કક્ષાના ભાવો પણ મંજુર કરાયા નથી.કેટલાક અધિકારીઓ યોજનાની ગેડલાઈન નેવે મુકી ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે, અને ઓછા ભાવો ગણાવી ટેન્ડર પ્રક્રિયા રદ કરી રી-ટેન્ડરીંગની પ્રક્રિયા હાથધરી રહ્યા છે.
નીચા ભાવો સંદર્ભે કોઈ પણ ઠરાવથી ટેન્ડર પ્રક્રિયા રદ કરવા સરકારે જણાવ્યું નથી.નીચા ભાવોથી સરકારના નાણા ઉચાપતનો કોઈ પ્રશ્ન જ નથી, સરકારી નાણાંની બચત થાય છે.કામની ગુણવતા જાળવવાની જવાબદારી અધિકારી ઓની છે.પણ એ લોકો જવાબદારી માંથી છટકવા માંગે છે.નર્મદાના વિકાસ માટે મનરેગા યોજનાની ટેન્ડર પ્રક્રિયા પુર્ણ કરી જિલ્લા કક્ષાના ભાવો મંજુર કરી તાત્કાલિક કામગીરી શરૂ કરાવવા સાંસદે જણાવ્યું છે.




