– વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડતા વાલીઓમાં રોષ : શાળાને પુનઃ શરૂ કરવા માંગ
ભરૂચ,
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક ૧૦ અને ૩૫ ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેતા વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ શહેરની મધ્યમાં આવેલ રાવળીયા વાડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત દ્વારા છેલ્લા ૪૫ વર્ષ ઉપરાંતથી શાળા ચાલતી આવી રહી હતી.વિદ્યાર્થીઓ શાળાએ આવતા શાળાના દરવાજાએ તાળા લગતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા અને વિદ્યાર્થીઓ પરત ઘરે ફરતા વાલીઓમાં અસંતોષ ફેલાયો હતો અને વાલીઓ વિદ્યાર્થીઓ સાથે શાળાએ પહોંચ્યા હતા.
શાળાએ પહોંચેલા વાલીઓએ શાળાના દરવાજા પર તાળા લટકતા હોવાનું જોતા રોષ જોવા મળ્યો હતો અને વાલીઓએ જણાવ્યું હતું કે આ શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના બનાવાઈ રહી છે.પરંતુ અમે પણ આ જ શાળામાં અભ્યાસ કર્યો છે અને અમારા બાળકો પણ અહીંયા જ અભ્યાસ કરવાના છે અને આવનાર સમયમાં પણ અભ્યાસ કરવા માંગીએ છીએ જેથી આ શાળા ચાલુ કરવા માંગ ઉઠી રહી છે.
શાળા બંધ કરવાના આ નિર્ણયને વાલીઓએ અચાનક અને અનાયાસ પગલું ગણાવ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ શાળાને અન્ય શાળા સાથે ખસેડવાના નિર્ણયનો વિરોધ કરશે.શાળા નહીં ખુલે તો વિદ્યાર્થીઓ ભણતરથી વંચિત રહેશે.




