– હોમ ઘરવિહોણા અને નિરાધાર લોકોને નાઈટ શેલ્ટરમાં રાત્રિ રોકાણ માટે આશ્રય પૂરું પાડતા સંકટગ્રસ્ત બહેનો માટે આશાની કિરણ બન્યું
ભરૂચ,
ભરૂચ નગરપાલિકા સંચાલિત નાઈટ શેલ્ટર હોમ ઘર વિહોણી અને સંક્તગ્રસ્ત બહેનો માટે આશાનું કિરણ બનતા આશીર્વાદરૂપ સાબિત થયું છે.ઝઘડાના કારણે ઘર છોડી નીકળી ગયેલ મહિલા ભરૂચ આવી પહોંચતા બિમાર થતા તેઓની સારવાર કરી નાઈટ શેલ્ટર હોમમાં આશરો આપ્યો હતો.જે બાદ પરિવાર સાથે સંપર્ક કરતા તેઓ પોતાના ઘરે પરત લઈ જવા ભરૂચ આવી પહોંચ્યા હતા.
મહારાષ્ટ્રના મૂળ દહાણુની ૨૫ વર્ષીય બબીતાબેન રાઠવા ઘરેલું ઝઘડાને કારણે તેઓ ઘર છોડીને નીકળી ગયા હતા અને તેઓ ભરૂચ રેલ્વે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા અને તેઓ બીમાર અને નિરાધાર હાલતમાં જોવા મળતા એક સંવેદનશીલ રિક્ષાચાલકની નજર પડતા તેમને ભરૂચ નગરપાલિકા સંચાલિત નાઈટ શેલ્ટર હોમમાં ૧૪ મી જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ આશ્રય માટે લાવવામાં આવ્યા હતા.જે બાદ શેલ્ટર હોમના સંચાલક તથા સેવાયજ્ઞ સમિતિના હિમાંશુ પરીખે બબીતાબેનની હાલત ગંભીર હોવાનું ધ્યાનમાં લેતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકો સોનલબેન ત્રિવેદી અને હેમંતભાઈ પંચાલ દ્વારા સતત ફોલોઅપ રાખી સાત દિવસ સુધી તેમની સારવાર કરાવવામાં આવી હતી. જેના પરિણામે બબીતાબેન સંપૂર્ણ સ્વસ્થ બન્યા હતા.ત્યાર બાદ તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવતા તેમની બહેનો તેમને લેવા માટે ભરૂચ આવી પહોંચતા તેઓને સ્વસ્થ હાલતમાં પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે અંદાજે ૨૦ થી ૨૫ બહેનો જેમને વિવિધ કારણોસર ઘરેથી બહાર કાઢી મુકવામાં આવે છે અથવા તો તેઓ નીકળી જતા નિરાધાર થતા નાઈટ શેલ્ટર હોમમાં આશ્રય લેવા આવે છે.આવી બહેનોને માત્ર રાત્રિ રોકાણ જ નહીં, પરંતુ દિવસ દરમ્યાન રહેવાની વ્યવસ્થા,ભોજનની સુવિધા તથા બીમારીની સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરી તમામ સારવાર ખર્ચ સેવાયજ્ઞ સમિતિ દ્વારા ઉઠાવવામાં આવે છે.નાઈટ શેલ્ટર હોમ જરૂરિયાતમંદ બહેનો માટે સાચે જ માનવતાનો આધાર બની રહ્યું છે.




