દહેજમાં ડુક્કરના શિકાર માટે બિછાવેલી જાળમાં નિલગાયનું કરુણ મોત થતાં વન વિભાગે બે ઈસમો પાસેથી ૨ લાખનો દંડ વસૂલ્યો

SHARE:

ભરૂચ,
વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ પંથકમાં વન્યપ્રાણીના શિકાર અને મૃત્યુની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. દહેજ સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિર નજીકના વેરાન વિસ્તારમાં અને ઝાડી-ઝાંખરામાં શિકારીઓ દ્વારા ડુક્કર પકડવા માટે ગોઠવવામાં આવેલી જાળમાં એક મહાકાય નિલગાય ફસાઈ ગઈ હતી.જેના કારણે આ અબોલ જીવનું કરુણ મોત નીપજ્યું હતું. વન વિભાગને બાતમી મળતા જ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, જ્યાં નિલગાય જાળમાં ખરાબ રીતે ફસાયેલી અને મૃત હાલતમાં મળી આવી હતી. ​વાગરા વન વિભાગે આ ઘટનાની ગંભીર નોંધ લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરતા આ કૃત્ય સ્થાનિક રહીશોનું હોવાનું બહાર આવ્યું હતું.તપાસમાં દહેજના રહેવાસી અજય કનુ તલાવીયા અને રાકેશ શનાભાઈ રાઠોડના નામો ખુલ્યા હતા. પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે આ જાળ ડુક્કર પકડવા બિછાવી હતી.પરંતુ તેમાં નિલગાય ફસાઈ ગઈ હતી.ભરૂચના નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈ અને મદદનીશ વન સંરક્ષક વિજયભાઈ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વાગરા આર.એફ.ઓ. વી.વી.ચારણ અને તેમની ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરી કુલ રૂપિયા ૨ લાખનો દંડ વસૂલ કર્યો છે.વન વિભાગની આ સઘન કામગીરીને પગલે ગેરકાયદેસર શિકાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.નિલગાયના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પ્રાથમિક દ્રષ્ટિએ નિલગાય જાળમાં લાંબા સમય સુધી ફસાઈ રહેવાથી ખોરાક-પાણીના અભાવે તેમજ તરફડિયા મારીને મૃત્યુ પામી હોવાનું મનાય છે.જોકે, વન વિભાગ એ દિશામાં પણ તપાસ કરી રહ્યું છે કે શું તેને કોઈ ઝેરી પદાર્થ કે ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું કે કેમ? હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જેના આવ્યા બાદ જ મૃત્યુનું વૈજ્ઞાનિક કારણ સ્પષ્ટ થશે. ​આ સમગ્ર ઘટના અંગે વાગરા આર.એફ.ઓ વી.વી.ચારણે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ વિસ્તારમાં નિલગાયના શિકારની પ્રવૃત્તિ થતી હોય તેવું જણાતું નથી.તેમણે તર્ક રજૂ કર્યો હતો કે સ્થળ તપાસ દરમિયાન ત્યાં વિચરણ કરતી અન્ય નિલગાયોમાં મનુષ્યો પ્રત્યે કોઈ ભય કે ડર જોવા મળ્યો ન હતો. સામાન્ય રીતે જ્યાં શિકાર થતો હોય ત્યાં પ્રાણીઓ માણસને જોઈને ભાગી જતા હોય છે,પરંતુ અહીં નિલગાયો નિર્ભય જણાતી હતી. તેમ છતાં, ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે વન વિભાગ દ્વારા તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાની તેમણે ખાતરી આપી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!