(વિજય વસાવા,નેત્રંગ)
ઝઘડિયાના બલેશ્વર ગામના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં પરિવર્તન સભા યોજાઈ હતી.જેમાં કોંગ્રેસ-બિટીપી,ભાજપના અનેક આગેવાનો આપમાં જોડાયા હતા.
ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દીપ પ્રાગટય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપની સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.આ સભામાં વાલિયા,ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપ,કોંગ્રેસ અને બિટીપીના આગેવાનો સહિત કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ પરિવર્તન સભામાં ભરૂચ લોકસભા ઈન્ચાર્જ યાકુબ ગુરુજી,વાલિયા તાલુકાના માજી તાલુકા પંચાયતના પ્રમુખ અને ધોળગામ બેઠકના સભ્ય રાજુ વસાવા,રજની વસાવા,વિનય વસાવા અને વિજય વસાવા,ઝઘડિયાના આગેવાન સંદીપ વસાવા,સર્જન વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ચંદ્રકાંત વસાવા એક સેવાભાવી વ્યક્તિ છે અને અત્યાર સુધી એમણે પુરની પરિસ્થિતિ હોય, કોરોનાની પરિસ્થિતિ હોય, આવી તમામ કપરી પરિસ્થિતિઓમાં લોકોની મદદ કરી છે. એમણે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોના લગ્ન પણ કરાવ્યા છે અને આજે અમારે આ વિસ્તારમાં કાર્યક્રમ કરવા માટે મેદાન જોઈતું હતું તો એમણે અમને મેદાન પણ અપાવ્યું છે. ભાજપના નેતાઓએ ચંદ્રકાંત વસાવાને સવાલ પણ કર્યા કે “તેઓ શા માટે મેદાન આપી રહ્યા છે?” પરંતુ અમારું સ્પષ્ટ માનવુ છે કે ચંદ્રકાંતભાઈ કોઈ રાજકીય માણસ નથી પરંતુ સેવાભાવી માણસ છે માટે તેમણે ફક્ત સેવાના ભાગરૂપે આ મેદાન આપ્યું છે. કોઈપણ ધારાસભ્યે કે સાંસદે ન કર્યા હોય એટલા સેવાના કામ ચંદ્રકાંત ભાઈએ એકલાએ કર્યા છે. આજે આ કાર્યક્રમ માટે ગ્રાઉન્ડ આપ્યું છે એ બદલ અમે તેમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ.




