– તંત્ર દ્વારા રખડતા ૧૫ કૂતરાઓને પકડી હડકવા વિરોધી રસી અપાઈ
આમોદ,
આમોદ નગરમાં છેલ્લા ત્રણ દિવસમાં રખડતા કૂતરાઓએ અલગ અલગ વિસ્તારમાં નાના બાળકો સહિત ૧૧ લોકોને બચકા ભરી લોહીલુહાણ કર્યા હતા.જેથી નગરજનો તેમજ બાળકોના માતાપિતા પણ ભયભીત બન્યા હતા.જે બાબતે લોકોએ આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કર્યા બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને રખડતા કૂતરાઓને પકડી તેમનું રસીકરણ કરવામાં આવ્યું હતું છતાં પણ કેટલાક વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે.ત્યારે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી મળેલી માહિતી મુજબ છેલ્લા અઢી મહિનામાં આમોદ નગર સહિત તાલુકામાંથી ૧૮૦ વ્યક્તિઓને રખડતા કૂતરાઓએ પોતાના તીક્ષ્ણ દાંત વડે હુમલો કરી લોહીલુહાણ કર્યા હોવાની માહિતી મળી છે.આમોદ પાલિકા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે રખડતાં કૂતરાઓને પકડી આમોદના પશુ ચિકિત્સક ડૉ.મિતેશ પરમારે ૧૫ જેટલા કૂતરાઓને હડકવા વિરોધી રસીનો પ્રિ- ડોઝ આપ્યો હતો.જેથી લોકોમાં ગભરાટ ઓછો રહે.ત્યારે હજુ પણ કેટલાક વિસ્તારોમાં કૂતરાઓનો ભય યથાવત રહેવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.




