નિવાસી અધિક કલેકટર પાર્થ જયસ્વાલની અધ્યક્ષતામાં ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

SHARE:

– ભરૂચ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૪૮ કેન્દ્રો ખાતે ૪૯૪ બ્લોકમાં કુલ ૩૬,૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

– ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તા.૨૬ ફેબ્રુઆરી થી ૧૮ માર્ચ-૨૦૨૬ દરમ્યાન યોજાશે

ભરૂચ,

આગામી તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ અને ૧૨ સામાન્‍ય–વિજ્ઞાન પ્રવાહની નિયમિત/રિપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે.ત્યારે ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને આ પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેવા ઉમદા હેતુસર નિવાસી અધિક કલેકટર ઈ.ચા. પાર્થ જયસ્વાલની અધ્યક્ષતામાં પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી.જેમાં ભરૂચ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરિક્ષા સંદર્ભે વિડીયો કોન્ફરન્સમાં જિલ્લાના અધિકારીઓ પણ જોડાયા હતા. 

આ બેઠક દરમ્યાન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સ્વાતિબા રાઓલે બોર્ડ પરીક્ષા સંદર્ભે થયેલી તૈયારીઓની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્બારા ફેબ્રુઆરી/માર્ચ ૨૦૨૬માં ધોરણ ૧૦ એસ.એસ.સી અને ધોરણ ૧૨ એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના નિયમિત/રિપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૮/૦૩/૨૦૨૬ દરમ્યાન યોજાશે. 

ભરૂચ જિલ્લામાં ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં જિલ્લાના ૩૨ પરીક્ષા કેન્દ્રો ખાતે ૨૩,૬૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેના માટે ૮૬ પરીક્ષા બિલ્ડીંગોમાં ૭૮૮ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧૨ પરીક્ષા કેન્દ્રો ખાતે ૯૭૫૦ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે, જે માટે ૩૮ બિલ્ડીંગમાં ૩૨૫ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં ૦૪ કેન્દ્રો ખાતે ૩,૩૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે માટે ૧૯ બિલ્ડીંગમાં ૧૬૯ બ્લોક નક્કી કરાયા છે. આમ ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૪૮ કેન્દ્રો ખાતે ૧૨૮૬ બ્લોકમાં કુલ ૩૬,૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 

બોર્ડની પરીક્ષાઓ દરમ્યાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેમજ ભરૂચ શહેર ઉપરાંત જિલ્લાના તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વિદ્યાર્થીઓને લેવા જતી બસ કોઈપણ કારણોસર બંધ પડે તો તાત્કાલિક અન્ય બસોની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવાની સાથે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ-સુરક્ષાપ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ,આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવા નિવાસી અધિક કલેકટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. 

બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી અને અન્ય સભ્યો તેમજ જી.એસ.આર.ટી.સી, પી.જી.વી.સી.એલ, શૈક્ષણિક સંઘના પ્રતિનિધિઓ અને સંલગ્ન અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!