– ફાર્માસ્યુટિકલ્સ APIનું ઉત્પાદન કરતી કંપનીમાં લાગેલી આગની ચપેટમાં આવતા ત્રણ કામદારો ઈજાગ્રસ્ત : ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો
ભરૂચ,
વાગરા તાલુકાની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આગનો સિલસિલો યથાવત રહ્યો છે.આજે દહેજ સ્થિત એલિવસ લાઈફ સાયન્સ લોમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ ઘટનાને પગલે આસપાસની કંપનીઓ અને વસાહતમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ કંપનીમાં કામ કરી રહેલા ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આગમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની હાલતને જોતા પ્રાથમિક સારવાર બાદ વધુ ગંભીરતાને ધ્યાનમાં રાખી તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.હાલ કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




