– 21 ફેબ્રુઆરી થી 1લી માર્ચ સુધી ચાલશે : સખી મંડળોની બહેનોના 40 થી વધુ સ્ટોલો
ભરૂચ,
ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માર્ગદર્શન હેઠળ આજરોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળા’નો શુભ પ્રારંભ થયો હતો.તા.21 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ચાલનારા આ મેળાનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મેળામાં સખી મંડળોની બહેનો દ્વારા 40થી વધુ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે,જેમાં ઘરગથ્થુ બનાવટના સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલાના સામાન, ખાદ્યપદાર્થો અને દૈનિક ઉપયોગી ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર અને ઉપયોગ માટે કરવામાં આવેલા આહ્વાનને અનુરૂપ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
આ પ્રસંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ,ઉપ પ્રમુખ અક્ષય પટેલ,કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ,સમાજ કલ્યાણના ચેરમેન નિશા વસાવા સહિત એનયુએલએમ અને પાલિકા વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મેળામાં ભાગ લઈ રહેલી સખી મંડળની બહેનો એ સરકાર તથા નગરપાલિકા દ્વારા વિનામૂલ્યે વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બહેનોનું માનવું છે કે આવા મેળાઓથી તેમને આર્થિક રીતે મજબૂત બનવાની તક મળે છે અને પોતાના ઉત્પાદનોને વ્યાપક બજાર મળે છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ‘સ્વદેશી મેળા’ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા સાથે સાથે ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને પણ બળ આપે છે. સ્થાનિક સ્તરે મહિલાઓને રોજગાર અને આત્મનિર્ભર બનવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.




