– કોઈપણ પ્રકારના ડર વગર, શાંત ચિત્તે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો : જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા
– ભરૂચ જિલ્લામાં આ વર્ષે ૩૬,૭૭૦ જેટલા વિદ્યાર્થીઓ ૪૮ પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા આપશે
– પરીક્ષા કેન્દ્રોમાં શાંતિ, સ્વચ્છતા, પીવાનું પાણી, આરોગ્ય સુવિધા અને સુરક્ષા જેવી તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ
ભરૂચ,
ગુજરાત રાજ્યમાં ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થયેલ એસ.એસ.સી (SSC) તથા એચ.એસ.સી (HSC) ની બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે, પરીક્ષાર્થી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા ઉમદા હેતુથી ભરૂચ તાલુકાની નર્મદા હાઈસ્કૂલ શુકલતીર્થમાં જિલ્લા કલેકટર શ્રી તેમજ મહાનુભાવો દ્વારા પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ આપીને તેમજ સાકરથી મોઢું મીઠું કરાવીને અત્યંત આત્મીયતાપૂર્વક આવકારવામાં આવ્યા હતા. કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે, આત્મવિશ્વાસ, શાંતિ અને એકાગ્રતા સાથે કરેલી મહેનત જરૂર ફળ આપે છે.
આ પ્રેરણાદાયી પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને તેઓ નિર્ભયતાપૂર્વક મજબૂત મનોબળ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જિલ્લા વહીવટી તંત્રના આ ઉષ્માભર્યા અભિગમને કારણે પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પર આત્મવિશ્વાસ અને હર્ષની ઝલક સ્પષ્ટપણે જોવા મળી હતી.
જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ આજથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ અંગે જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને વહીવટી તંત્ર વતી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૪૮ કેન્દ્રો ખાતે ૧૨૮૬ બ્લોકમાં કુલ- ૩૬,૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા પરીક્ષા આપનાર છે. પરીક્ષાનું સંચાલન સંપૂર્ણ પારદર્શક વાતાવરણમાં થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેમાં ૭૦થી વધુ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ પરીક્ષા કેન્દ્રોને CCTV કેમેરા અને મેડિકલ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે તમામ ૪૮ કેન્દ્રો પર વિધાર્થીઓનું ગુલાબનું ફૂલ આપીને ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.




