– કેટલાય અરજદારો સ્થળ ઉપર સિટી સર્વે કચેરીના અધિકારીઓને શોધતા જોવા મળ્યા
ભરૂચ,
આમોદ નગરપાલિકા પટાંગણમાં આજરોજ નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક તથા ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ તેમજ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી,મહામંત્રી ભાવિક પટેલ, પૂર્વ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ,મહામંત્રી ભીખાભાઈ લીંબચીયા, નગરસેવક અક્ષર પટેલ, બીજલ ભરવાડ સહિતના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર તરફથી જન કલ્યાણના અભિગમ દ્વારા સ્થળ ઉપર જ નાગરિકોની વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નગરપાલિકાના ટેક્સ વિભાગની કામગીરી,આવક અને જાતિના દાખલા, આધારકાર્ડ સેવાઓ,પીએમજેવાય યોજના હેઠળ હેલ્થ ચેકઅપ,નવા વીજ કનેક્શન માટે માર્ગદર્શન, બેંકિંગ સેવાઓ, જન્મ-મરણ પ્રમાણપત્ર, ગંગા સ્વરૂપ સહાય, નિરાધાર સહાય અને વૃદ્ધ વંદના યોજના સહિતની વિવિધ સેવાઓ અંગે નાગરિકોને માર્ગદર્શન અને સહાય આપવામાં આવી હતી.
વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નાગરિકોની અરજીઓ સ્વીકારી સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી યોજનાઓનો લાભ લીધો હતો.પરંતુ તંત્ર દ્વારા આમોદ સિટી સર્વે કચેરીને સેવાસેતુ કાર્યક્રમમાંથી બાકાત રાખતા અનેક અરજદારો સ્થળ ઉપર સિટી સર્વેના અધિકારીઓને શોધતા જોવા મળ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ સિટી સર્વેના અધિકારીઓ દ્વારા અરજદારોની અનેક વખત અરજીઓ ગૂમ કરી દીધી હોવાની તેમજ અરજદારોના મહિનાઓ સુધી કામ નહીં થતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.




