(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પ્રથમ વખત નર્મદા જિલ્લાને પ્રભુત્વ નર્મદા બાર પ્રમુખ તરીકે સતત 10 વખત ચૂંટાયેલા વંદનાબેન ભટ્ટ બાર કાઉન્સિલમાં પણ મેદાન મારી ગયા છે.
વંદનાબેન આઈ ભટ્ટ ભવ્ય બહુમતી સાથે વિજયી થયા છે. કુલ 99 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોની પસંદગી થવાની પ્રક્રિયામાં, વંદનાબેનને અંદાજે 57,000 જેટલા મતમૂલ્ય પ્રાપ્ત થયા છે, જે તેમની લોકપ્રિયતા અને વિશ્વાસનું પ્રતિક છે અને 23 નંબર માંથી 4 નંબર પર વિજેતા જાહેર આજરોજ કરવામાં આવેલ છે.જાણવા મળેલ માહિતી મુજબ છેલ્લા 25 વર્ષ ઊપરાંત થી ભરૂચ–નર્મદા જિલ્લા માંથી પ્રથમ વખત આ ગૌરવ પ્રાપ્ત થયું છે,જે સમગ્ર વિસ્તાર માટે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે.ખાસ નોંધનીય બાબત એ છે કે નાના બાર એસોસિએશનમાંથી આવેલા ઉમેદવાર તરીકે સમગ્ર ગુજરાતમાં આજદિન સુધીનો આ અનોખો અને પ્રથમ વિજય છે.
વંદનાબેન આઈ ભટ્ટ છેલ્લા 12 વર્ષથી નર્મદા જિલ્લામાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં સક્રિય નેતૃત્વ આપીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સહાયમાં સતત જોડાયેલા રહ્યા છે. તેમનો સેવાભાવ, વિશાળ અનુભવ અને મજબૂત નેતૃત્વ ક્ષમતા તેમને એક લોકપ્રિય અને વિશ્વાસપાત્ર વ્યક્તિત્વ બનાવે છે. તેઓ હાલમાં AGP (Assistant Government Pleader) તરીકે પણ સેવા આપી રહ્યા છે,જે તેમની કાનૂની કુશળતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે.આ જીત માત્ર એક વ્યક્તિની નથી, પરંતુ નર્મદા જિલ્લાના તમામ વકીલમિત્રોની એકતા, વિશ્વાસ અને અડગ સંકલ્પની જીત છે. જિલ્લાના તમામ તાલુકા બાર એસોસિએશનના સભ્યોએ એકમતથી પોતાના ઉમેદવારને સમર્થન આપ્યું અને આજે તેના ગૌરવપૂર્ણ પરિણામ સ્વરૂપે આ ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે.મતદારોની સંખ્યામાં ભલે આપણે નાના હોઈએ, પરંતુ એકતા, સંકલ્પ અને આત્મવિશ્વાસમાં નર્મદા જિલ્લાના વકીલો હંમેશા અગ્રેસર રહ્યા છે, તેનો સ્પષ્ટ સંદેશ આજે સમગ્ર ગુજરાતને મળ્યો છે.આ વિજય નર્મદા જિલ્લાના ગૌરવ, એકતા અને આત્મસન્માનનું જીવંત પ્રતિક બની રહેશે અને ભવિષ્યમાં પણ પ્રેરણાસ્ત્રોત તરીકે કામ કરશે.




