– આચારસંહિતાના ભંગ અંગેની કોઈપણ ફરિયાદ મદદનીશ નોડલ અધિકારીઓને કરી શકાશે
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો અને તમામ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ એપ્રિલ-૨૦૨૬ માં યોજાનાર છે. આ ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા આદર્શ આચારસંહિતા (MCC) ના ચુસ્ત અમલીકરણ માટે ખાસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન અધિકારીઓ અને કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથોસાથ સમગ્ર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આચારસંહિતાનું ઉલ્લંઘન ન થાય તે માટે નિયુક્ત થયેલા મદદનીશ નોડલ અધિકારીઓએ આચારસંહિતાના ભંગ અંગેની કોઈપણ ફરિયાદ મળ્યે તુરંત તપાસ કરી તેનો સંપૂર્ણ અહેવાલ જિલ્લા કક્ષાના નોડલ અધિકારીને મોકલાવશે.
આચારસંહિતાના અમલીકરણ અને ચૂંટણી ફરિયાદોના નિવારણ માટે નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), ભરૂચની જિલ્લાકક્ષાના નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.જેમનો (મોબાઇલ નં. ૭૦૬૯૬૦૬૨૫૦) તેમજ મદદનીશ નોડલ અધિકારીઓ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ કામગીરી માટે વિવિધ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે.તમામ તાલુકાઓના તાલુકા વિકાસ અધિકારીઓને જે તે તાલુકાના મદદનીશ નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે.જ્યારે જંબુસર, આમોદ, ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાઓ માટે મુખ્ય અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.




